રાજકોટમાં આવેલી જિલ્લા સહકારી બેંકની ભરતીમાં ચેરમેન જયેશ રાદડિયા દ્વારા ભ્રષ્ટાચાર કરાયા હોવાના આક્ષેપ કરાયા છે. ત્યારે ભાજપનું જ એક જુથ આજે ગાંધીનગર પહોંચ્યું હતું. જયેશ રાદડિયા વિરોધી જુથે આજે તેમણે 15 દિવસ પહેલા કરેલી અરજીનું શું થયું તે જાણવા માટે ગાંધીનગર દોડી ગયાં હતાં.

વિજય રૂપાણીની સરકારમાં પુરવઠા વિભાગના કેબિનેટ મંત્રી રહેલા જેતપુરના ધારાસભ્ય જયેશ રાદડિયા વિરુદ્ધ ખુદ જિલ્લા ભાજપના જ આગેવાનો મેદાને આવ્યા છે. સહકારી ક્ષેત્રના 4 અસંતુષ્ટ સિનિયર આગેવાને રાજ્ય સરકારમાં જયેશ રાદડિયા વિરુદ્ધ આજે ગાંધીનગરમાં રજૂઆત કરવા માટે પહોચ્યાં હતાં. ચારેય આગેવાનોનો આક્ષેપ છે કે રાજકોટ જિલ્લા બેંકની ભરતીમાં જયેશ રાદડિયાએ ભ્રષ્ટાચાર કર્યો છે.

સહકારી ક્ષેત્રના ભાજપના આગેવાનો હરદેવસિંહ જાડેજા, પુરુષોત્તમ સાવલિયા અને વિજય સખિયા ગાંધીનગરમાં સહકાર વિભાગના સચિવ સહિતને જયેશ રાદડિયાના નિયંત્રણ હેઠળની જિલ્લા બેંકના વહીવટની રજૂઆત કરશે. આ આગેવાનોની ફરિયાદ છે કે જિલ્લા બેંકમાં 1100 કર્મચારીની ભરતીમાંથી 900ની ભરતીમાં જયેશ રાદડિયાએ ગેરરીતિ આચરી છે. ઉલ્લેખનીય છે કે રાજકોટ માર્કેટ યાર્ડ અને લોધિકા સંઘની ચૂંટણી પછી ભાજપનું એક જૂથ જયેશ રાદડિયાથી નારાજ છે.

