ધોરાજીમાં મંગળવારની રાત્રે પોલીસના બે કર્મચારીઓ પર અજાણ્યા શખસોએ હુમલો કરી ઈજા પહોંચાડી હોવાના અહેવાલ મળ્યા છે. ધોરાજીના રેલવે સ્ટેશન વિસ્તાર પાસે બે જૂથ વચ્ચે ઝઘડો થયો હતો. જેના મેસેજ પોલીસ સુધી પહોંચતા પોલીસ ટુકડી સ્થિતિને થાળે પાડવા માટે દોડી ગઈ હતી. પણ અજાણ્યા શખસોએ પોલીસના બે કર્મચારીને ઢોર માર મારતા કાન, હાથ અને પગના ભાગે ગંભીર ઇજા થઈ હતી. એ પછી એમને સારવાર હેતુ બંનેને ધોરાજી સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.
ધોરાજીના રેલવે સ્ટેશન વિસ્તારમાં સ્થાનિક લોકો અને ઝુપડપટ્ટીમાં રહેતા લોકો કોઈ મુદ્દે તકરાર થઈ ગઈ હતી. જે પછીથી મામલો મારામારી સુધી પહોંચી ગયો હતો. ઉગ્ર બોલાચાલી અને સામસામે લોકોએ ગાળો ભાંડતા કોઈએ પોલીસને જાણ કરી દીધી હતી. તેથી પોલીસ ઘટનાસ્થળે સ્થિતિ કંટ્રોલ કરવા માટે પહોંચી હતી. પરંતુ અજાણ્યા શખસોએ બે પોલીસ કર્મચારીને ઢોરમાર માર્યો હતો. જેથી બે પોલીસ કર્મચારીઓને ગંભીર ઈજા થતા સિવિલ હોસ્પિટલ લઈ જવાયા હતા. એક પોલીસ કર્મીને કાનમાં ટાકા પણ લેવા પડ્યા હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસ પર હુમલો થતા અન્ય પોલીસ ટુકડી પણ ઘટના સ્થળે દોડી ગઈ હતી. હુમલો કરનારા સામે કલમ 323, 332, 353, 506(2), 143, 147, 149 હેઠળ ગુનો નોંધીને કાયદેસરના પગલાં ભર્યા છે. મંગળવારની રાત્રીના સુમારે પોલીસ સ્ટેશને હાજર હતા ત્યારે પીઆઇ એ.બી.ગોહીલના મોબાઇલમાં ફોન આવેલો અને જણાવ્યું હતું કે ધોરાજી રેલ્વે સ્ટેશન પાસે આનંદનગર વિસ્તારમાં બે જુથ વચ્ચે માથાકુટ ચાલુ છે. જેથી પોલીસ સ્ટાફ સાથે તાત્કાલીક ત્યાં પહોંચો. જેથી અમેં તથા બાપાલાલ ચુડાસમા,પરબતભાઇ પપાણીયા સાથે સીટી-1 પોલીસવેન લઇ જગ્યાએ જવા માટે નીકળેલ હતા. એવું ફરિયાદી રમેશભાઈએ જણાવ્યું હતું.

કોન્સ્ટેબલ બાપાલાલે પી.એસ.ઓને અન્ય પોલીસ કર્મચારીને પણ ત્યાં મોકલવા મોબાઇલ ફોનથી જણાવ્યું અને આશરે સાડા નવ વાગ્યાની આસપાસ તે જગ્યાએ પહોંચતા અમુક શખ્સો વચ્ચે મારામારી ચાલુ હતી અને ત્યાં માણસો ભેગા થઈ ગયા હતા. જ્યાં પોલીસ નજીક જઈ રહી હતી ત્યારે કેટલાક અજાણ્યા શખ્સોએ પોલીસ પર હુમલો કરી દેતા બે પોલીસ કર્મચારીને ઈજા થઈ છે. આ દરમિયાન પોલીસ કર્મચારીઓ જેમા ઇસીતભાઇ માણાવદરીયા, રવીરાજસિંહ વાળા, અરવીંદસિંહ જાડેજા, કૃષ્ણસિંહ ઝાલા પોલીસકર્મી આવી જતા આ લોકો નાસી ગયા. આ મારામારીમા પરબતભાઇને જમણા કાનના ભાગે લોહી નીકળતુ હતું તેમજ રમેશભાને પણ હાથમાં ઈજા પહોંચી હતી.

