મહાનગરમાં છેડતીના અને ગ્રામ્ય વિસ્તારમાં ફાયરિંગના કેસ વધી રહ્યા છે. સુરેન્દ્રનગરના ચોટીલામાં જાહેરમાં ફાયરિંગ થતા દોડધામ મચી ગઈ હતી. ચોટીલાના થાન રોડ પર વાસૂકી દાદાના મંદિર પાસે થયેલા ફાયરિંગમાં એક યુવકનું મોત થયું હોવાના વાવડ મળ્યા છે. વાંકાનેર પાસેના થાન રોડ પર ધોળા દિવસે થયેલા ફાયરિંગમાં ધર્મેન્દ્ર ખાચર નામના યુવાનનું મોત થયું છે.
આ ફાયરિંગની ઘટનાને અંજામ આપવા લગભગ ત્રણથી ચાર યુવકો ત્યાં ધસી આવ્યા હોવાનું માનવામાં આવી રહ્યું છે.
2થી 3 રાઉન્ડ ફાયરિંગ થતા યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ ગયો હતો. ઘાયલ યુવકને પહેલા ચોટીલા હોસ્પિટલમાં સારવાર હેતું ખસેડાયો હતો. જૂની અંગત અદાવતમાં બદલો લેવાના હેતુથી આ યુવક પર ફાયરિંગ થયું હોવાના વાવડ મળ્યા છે. સ્થાનિક પોલીસે ઘટના સ્થળે પહોંચીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે. જોકે, સુરેન્દ્રનગર જિલ્લામાં આ કોઈ પહેલું ફાયરિંગ નથી. આ પહેલા પણ ફાયરિંગના કેસ મળી આવ્યા છે.

આ ઘટનાને લઈને ફરી એકવખત કાયદો અને વ્યવસ્થા સામે પ્રશ્નો ઊભા થયા છે. સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી ગુનાખોરીનો ગ્રાફ વધી રહ્યો છે. ખાસ કરીને ગ્રામ્ય પંથકમાં ફાયરિંગની ઘટનાઓ સામે આવે છે. જોકે, ચોટિલા ફાયરિંગ કેસમાં ધોળા દિવસે ફાયરિંગ થતા સુરક્ષા વ્યવસ્થા સામે ફરી પ્રશ્નો ઊભા થયા છે. સામે આવેલા દ્રશ્યોમાં જોવા મળે છે કે, એક યુવાન હાથમાં ગન લઈને ફાયરિંગ કરી રહ્યો છે. આ ઘટનામાં એક યુવાનનું મોત થતા પોલીસ હત્યાની કલમ લગાવીને કાયદેસરની તપાસ શરૂ કરી દીધી છે.
આ ફાયરિંગ કરનારાઓને પકડી પાડવા માટે પોલીસે આસપાસના CCTV ફૂટેજની તપાસ શરૂ કરી દીધી છે. હુમલામાં ઝીંઝુડાના કાઠી યુવાનનું મોત નિપજતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. હત્યાના બનાવથી સમગ્ર વિસ્તારમાં સોંપો પડી ગયો હતો. મૃતકની લાશને રેફરલ હોસ્પીટલ મોકલી હુમલાના સી.સી.ટી.વી ફુટેજના આધારે તપાસ શરૂ કરી છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા.જોકે પોલીસે આસપાસના કેટલાક શંકાસ્પદ લોકોનું નિવેદન લેવાનું ચાલું કરી દીધુ છે. કોઈ જાણીતો શખ્સ જોડાયેલો હોવાની પોલીસને આશંકા છે.

