રાજકોટ પોલીસ કાંડ પ્રકરણમાં એક મોટા સમાચાર સામે આવ્યા છે. રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે આરોપી પાસેથી વસુલ થનારી રકમમાંથી કમિશન માંગી હોવાના આક્ષેપની તપાસ DGP વિકાસ સહાયને સોંપી હતી. જે તપાસનો રીપોર્ટ તૈયારી થઈ ચૂક્યો છે. આ રીપોર્ટ રાજ્ય પોલીસવડા આશિષ ભાટિયાને સોંપી દેવામાં આવ્યો છે. હવે જોવાનું એ છે કે, આ મામલે કોઈ પોલીસ અધિકારી સામે કાર્યવાહી થાય છે કે નહીં? ધારાસભ્ય ગોવિંદ પટેલે રાજકોટ પોલીસના તોડકાંડ મામલે લેટરબોંબ ફોડ્યા બાદ ક્રાઈમ બ્રાંચથી લઈને કમિશનર સુધી તપાસનો ધમધમાટ શરૂ થયો હતો.
હાલ ફરિયાદની માંગ અનુસાર ધાર્યું પરિણામ આવશે એવો દાવો કરવામાં આવી રહ્યો છે. હાલમાં ગાંધીનગર ધક્કો ખાવાની જરૂર ન હોવાનું એમને જણાવ્યું છે. ગૃહવિભાગ તરફથી આ સમગ્ર પોલીસ તોડકાંડની તપાસ DGP વિકાસ સહાયને સોંપવામાં આવી હતી. આ મામલે પોલીસ ઉચ્ચ અધિકારીએ ફરિયાદી જગજીવન સખિયાને પૂછપરછ માટે ગાંધીનગર પણ બોલાવ્યા હતા. આ અંગે ઝડપથી કાર્યવાહી થશે એવી ખાતરી ગૃહવિભાગે આપી છે. પોલીસ લોબીના ટોચના સુત્રોના જણાવ્યા અનુસાર રાજકોટ પોલીસ કમિશનર સામે જમીન મામલે આક્ષેપો થયા હતા. છેલ્લી અપડેટ અનુસાર ફરિયાદીને રૂ.4.50 લાખા પાછા આપી દીધા હોવાનો વીડિયો સામે આવ્યો હતો. જે સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. હાલ વાયરલ વીડિયોની પણ તપાસ ચાલું છે. આ કેસમાં રાજકોટ પોલીસ કમિશનર સિવાયના અધિકારીઓના નામ પણ સામે આવ્યા હતા. જેની પછીથી યુદ્ધના ધોરણે બદલી કરી દેવામાં આવી હતી. રાજકોટના પોલીસ કમિશનર મનોજ અગ્રવાલની કેરિયરનું ભાવિ આ તપાસ પર અટક્યું છે. સુત્રોએ જણાવ્યું છે કે, ધારાસભ્યએ લેટરબોંબ ફોડ્યા બાદ સરકારને આ મોટા અધિકારી સામે તપાસ શરૂ કરવાની ફરજ પડી હતી. પ્રશ્ન એ ચર્ચામાં છે કે, આ રીપોર્ટ જાહેર કરાશે? મોટા અધિકારીઓ સામે પગલાં લેવાશે?

એવું પણ માનવામાં આવે છે કે, ધારાસભ્ય એ આ પ્રકરણમાં એકાએક મૌન સેવી લીધું છે. આનો જવાબ હવે સરકાર આપશે એવી પૂરી શક્યતાઓ સેવાઈ રહી છે. રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આ કેસમાં આશિષ ભાટિયા સહિતના અધિકારીઓ સાથે પોલીસભવનમાં મોટી ચર્ચા કરી હતી. જોકે, સુત્રોમાંથી એવા સંકેત મળે છે કે, સરકાર હાલ કોઈ તાત્કાલિક એક્શન લેવાના મુંડમાં નથી. સમગ્ર મામલો શાંત પડી ગયા બાદ મનોજ અગ્રવાલને ગાંધીનગર પોલીસભવનમાં કોઈ ડેસ્ક ડ્યૂટી સોંપી દેવાઈ એવી ધારણાઓ છે. રૂ. 15 કરોડની છેત્તરપિંડી મામલે મહેશ સખિયા, તેનો પુત્ર કિશન, ભાઈ જગજીવન સખિયા, પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, PI વી.કે. ગઢવી અને PSI સાખરાનું નિવેદન પણ નોંધાય ચૂક્યું છે. તેમજ ફરિયાદી અને પોલીસ વચ્ચે મધ્યસ્થી બનેલા ડો.તેજસ કરમટાનું પણ નિવેદન નોંધાઇ ચૂક્યું છે.