નવા વર્ષની પહેલી લગ્ન સીઝનનું છેલ્લું શુભ મુહુર્ત તા. 22 ફેબ્રુઆરીના રોજ છે. તા. 23થી દેવ ગુરુ બૃહસ્પતિ અસ્ત થશે. આ કારણે આગામી બે મહિના સુધી લગ્ન થઈ શકશે નહીં. ત્યારબાદ એપ્રીલ મહિનાથી લગ્નની બીજી સીઝનની શરૂઆત થશે. લગ્નની બીજી સીઝનમાં સૌથી વધારે મે મહિનામાં 13 અને જૂનમાં 10 દિવસ શુભ લગ્ન રહેશે.

જ્યોતિષાચાર્યના જણાવ્યા પ્રમાણે 23 ફેબ્રુઆરીથી 27 માર્ચ સુધી દેવ ગુરુ બૃહસ્પતિ અસ્ત રહેશે. ગુરુ ગ્રહના અસ્ત થવાથી લગ્ન અને ગૃહ પ્રવેશ સહિત થોડા ખાસ માંગલિક કાર્યો બંધ રહશે. તેમજ આ સમયગાળામાં હોળાષ્ટક પણ શરૂ થશે. હવે લગ્નનું મુહુર્ત તા. 17 એપ્રીલના રોજ રહેશે. એપ્રીલ મહિનામાં 17, 19, 20, 21, 22, 23 અને 28 એમ સાત દિવસ તો મે મહિનામાં 2, 3, 9, 10, 11, 12, 13, 17, 18, 20, 25, 26 અને 31 એમ 13 દિવસ સુધી લગ્નના મુહુર્ત રહેશે.

આ ઉપરાંત જૂન મહિનામાં 6, 8, 11, 12, 13, 14, 15, 16, 21 અને 22 એમ 10 દિવસ તેમજ જુલાઈ માસમાં 3, 5, 6 અને 8 એમ ચાર દિવસ સુધી લગ્નના શુભ મુહુર્ત રહેશે. આવતીકાલે ગુરુ પશ્વિમ દિશામાં અસ્ત થઈ રહ્યો છે. જેની સીધી અસર વાતાવરણ ઉપર પડશે. આ સમયગાળા દરમયાન સૌરાષ્ટ્ર અને કચ્છમાં અતિવૃષ્ટિના યોગ બની રહ્યાં છે. 27મી માર્ચના રોજ બૃહસ્પતિ ઉદય થશે. આમ 32 દિવસ સુધી અસ્ત રહીને આ ગ્રહની શુભ-અશુભ અસર બધી રાશિઓ ઉપર પણ દેખાશે.

