બિહાર રાજ્યના ગયામાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. જ્યાં રેલવેની પરીક્ષામાં કૌભાંડના આરોપસર વિદ્યાર્થીઓએ ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું છે. બુધવારે ગણતંત્ર દિવસના પર્વ પર હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ ગયા જંક્શન પર પહોંચી ગયા હતા. જ્યાં નારેબાજી કરીને પથ્થરમારો કરવામાં આવ્યો હતો. શ્રમજીવી એક્સપ્રેસ પર પથ્થરમારો કરીને ટ્રેનને નુકસાન કર્યું છે. આ ઉપરાંત રેલવે પ્લેટફોર્મ પર અનેક જગ્યાએ મોટી તોડફોડ કરી હતી. જ્યારે પોલીસે આ ટોળાને વિખેરવા માટે પગલાં લીધા ત્યારે વિદ્યાર્થીઓએ ટ્રેનની બોગીમાં આગ લગાવી દીધી હતી.

ગયા જંક્શન પર મોટી માથાકુટ કર્યા બાદ વિદ્યાર્થીઓએ કરીમગંજ પાસે પહેલાથી જ સ્ટોપ થયેલી ખાલી ટ્રેનને પણ ટાર્ગેટ કરી દીધો. ટૂંક જ સમયમાં આ ટ્રેનની બોગીમાં પણ આગચંપી કરી દેવામાં આવી હતી. ટ્રેનની બોગીમાંથી ભળભળ જ્વાળા નીકળતી જોવા મળી હતી.

મામલાની ગંભીરતા સમજીને જિલ્લા પોલીસ અને રેલવે પોલીસે સ્થિતિ પર કાબુ મેળવવા માટે પગલાં લીધા હતા. વિરોધ પ્રદર્શન કરી રહેલા રેલવેની પરીક્ષાના વિદ્યાર્થીઓએ પરીક્ષામાં કૌભાંડ મામલે આરોપ લગાવ્યો હતો. પોલીસે વિરોધ પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓને વિખેરવા માટે ટીયરગેસના સેલનું ફાયરિંગ કર્યું છે. હાલમાં ગયા જંક્શન પર સ્થિતિ ચિંતાજનક છે. આ પહેલા મંગળવારે ઉત્તર પ્રદેશના આગ્રા, નવાદા, મોતીહારી, સીતામઢી સહિત અનેક શહેરમાં વિદ્યાર્થીઓએ જોરદાર વિરોધ પ્રદર્શન કર્યું હતું. ભારતીય રેલવેના RRB NTPC પરિણામમાં અનિયમિતતાનો આરોપસર વિદ્યાર્થીઓ પ્રદર્શન કરી રહ્યા છે. આ મામલે વિદ્યાર્થીઓમાં મોટી નારાજગી જોવા મળી છે. આ નારાજગીને ધ્યાને લઈને રેલવે બોર્ડે આ પરીક્ષા મોકૂફ રાખી દીધી છે.

રેલવે મંત્રાલયે આ કેસમાં વિદ્યાર્થીઓની સમસ્યાઓ જાણવા માટે તથા સલાહ આપવા માટે પણ આહવાન કર્યું છે. વિદ્યાર્થીઓ પાસેથી સલાહ મંગાવવામાં આવી છે. આ માટે એક ઈ મેઈલ આઈડી જાહેર કરાયું છે. જેના પર વિદ્યાર્થીઓ પોતાની સમસ્યાઓ જાહેર કરી શકે છે. એક રીપોર્ટ અનુસાર આ પરીક્ષા માટે 1.26 કરોડ વિદ્યાર્થીઓએ અરજી કરી હતી. ઉત્તર પ્રદેશ અને બિહારમાંથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના હતા.આ માટે રેલ મિનિસ્ટ્રીએ એક કમિટી તૈયાર કરીને તપાસના આદેશ આપ્યા છે. બિહારના ADG નિર્મલ કુમારના જણાવ્યા અનુસાર સ્થિતિને કાબુમાં લેવા માટે એક હાઈલેવલની મિટિંગ યોજાઈ હતી. ગયાના SSP ત્યાં યુદ્ધના ધોરણે પહોંચી ગયા હતા. રેલવેના અધિકારીઓ સાથે પણ વાતચીત કરવામાં આવી હતી. બિહારના જહાનાબાદ સતત પાંચ કલાક સુધી વિદ્યાર્થીઓએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. રેલવે ટ્રેક પર બેસીને નારેબાજી કરી હતી. બુધવારે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ રેલવે ટ્રેક પર બેસી જતા ગયાથી પટના સુધીનો રેલવે વ્યવહાર ખોરવાયો છે.વહેલી સવારે મેમુ ટ્રેન પણ રોકી દેવાઈ હતી.

