રાજ્યભરના જાણીતા મંદિરને ફરી એકવખત તાળા લાગી ગયા છે. કોરોના વાયરસના કેસ વધતા મોટાભાગના મંદિરના દ્વાર બંધ કરી દેવામાં આવ્યા છે. કોરોનાને કારણે ભગવાન અને ભક્તો વચ્ચે ફરી કોરોનાનું ગ્રહણ વિધ્ન બની રહ્યું છે. વાયરસનું સંક્રમણ વધતા શહેર તથા જિલ્લાઓમાં આવેલા મંદિર માટે નિયમ કડક કરી દેવામાં આવ્યા છે. કેસ વધવાને કારણે નિયમિત મંદિરે આવતા ભાવિકોને ઓનલાઈન દર્શન કરવાનો વારો આવ્યો છે. આ ઉપરાંત ઘણા મંદિરે દર્શનના સમયમાં પણ ફેરફાર કર્યો છે.
સવારે બે કલાક અને સાંજ બે કલાક એમ દિવસમાં બે વખત ભાવિકોને ભગવાનના દર્શન થશે. ભીડ ન થાય એ માટે મંદિરના દ્વાર બંધ કરવામાં આવ્યા છે. એટલું જ નહીં મંદિરમાં મોટા કાર્યક્રમ, મનોરથ તથા અન્નકુટ જેવા કાર્યક્રમ પણ બંધ રાખવામાં આવ્યા છે. ખાસ કરીને પૂનમ નિમિતે ઘણા ભક્તો દર્શન કરવા માટે અંબાજી, દ્વારકા તથા સોમનાથ જેવા મંદિરમાં જાય છે. પણ કોવિડના કેસ વધવાને કારણે તમામ મોટા મંદિરને ફરી તાળા મારી દેવામાં આવ્યા છે. બીજી બાજું હવેલીમાં મનોરથ તથા સત્સંગ સભા પણ બંધ કરી દેવામાં આવી છે. વધી રહેલા કેસને ધ્યાને લઈને શક્તિપીઠ અંબાજી પણ બંધ કરાયું છે. તો દેવભૂમિ દ્વારકામાં આવેલું દ્વારકાધીશ મંદિર પર બંધ કરી દેવામાં આવ્યું છે. સરકારની ગાઈડલાઈન્સ અનુસાર દર્શનનો સમય સવારે 8થી 10, 11.15થી 12 સુધી અને સાંજે 4થી 6 તેમજ 7.30થી 9 સુધી નક્કી કરાયો છે. એવું સ્વામી નારાયણ સંપ્રદાયના સંત અપૂર્વમુનિસ્વામીએ જણાવ્યું હતું.

દેવભૂમિ દ્વારકા ક્લેક્ટર તરફથી જગતમંદિરના દ્વાર ભાવિકો માટે બંધ કરવા નિર્ણય લેવામાં આવ્યો છે. દ્વારકામાં પૂનમ નિમિતે હજારોની સંખ્યામં શ્રદ્ધાળુંઓ દર્શન કરવા માટે આવે છે. તા.17થી 23 સુધી મંદિર બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. દ્વારકા, બેટ દ્વારકા, બહુચરાજી, અંબાજી, ડાકોર, શ્યામળાજી જેવા અનેક મંદિર બંધ કરી દેવામાં આવ્યા છે. પણ ઓનલાઈન દર્શન ચાલું રાખવામાં આવ્યા છે. બીજી બાજુ કાલાવડ રોડ પર આવેલા ઇસ્કોન મંદિરમાં નિયમો કડક કરી દીધા છે. મંદિર સવારના સમયે દર્શન બંધ કર્યા છે, ભાવિકોએ માત્ર સાંજે 6થી 9 ત્રણ કલાક જ દર્શનનો લાભ મળશે. મંદિર બંધ કરવું કે કેમ તે અંગેનો નિર્ણય આગામી દિવસોમાં પરિસ્થિતિ મુજબ લેવાશે. એવું વૈષ્ણવસેવા દાસજી, પ્રમુખ, ઇસ્કોન મંદિરે જણાવ્યું છે.

