ગુજરાત રાજ્યમાં દિવસે દિવસે કોરોના વાયરસના કેસમાં વધારો થઈ રહ્યો છે. કોરોનાની સાથે ઓમીક્રોનના કેસ પણ સામે આવી રહ્યા છે. આવી સ્થિતિમાં શાસકપક્ષ ભાજપના નેતાએ ગાઈડલાઈન્સના ધજાગરા કર્યા છે. ત્રીજી વેવના જોખમ વચ્ચે સૌરાષ્ટ્રના કાંઠાળા શહેર વેરાવળમાં ભારત વિકાસ પરિષદ તરફથી એક મેરેથોન દોડનું આયોજન કરાયું હતું. જેમાં હજારોની સંખ્યામાં યુવાનો ઉમટી પડ્યા હતા. આમ કોવિડ ગાઈડલાઈન્સ ભૂલાઈ ગઈ હતી.

આ મેરેથોનને લીલીઝંડી આપનાર બીજું કોઈ નહીં પણ સાંસદ રાજેશ ચુડાસમા હતા. આ સાથે જિલ્લા ભાજપના પ્રમુખ માનસિંહ પરમાર, નગરપાલિકા પ્રમુખ પીયુષ ફોફડી સહિતના રાજકીય આગેવાનોએ લીલીઝંડી આપી હતી. જેમાં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સના નિયમ ભૂલાઈ ગયા હોવાનું જોવા મળ્યું છે. આ મેરેથોન દોડમાં 1000થી વધારે યુવાનો બાળકો જોડાયા હતા. પણ કોઈએ માસ્ક પહેર્યું ન હતું. આવા સંજોગોમાં જ્યારે ગીર સોમનાથ જિલ્લા ક્લેક્ટરને આર.જી.ગોહિલને સંપર્ક કરાયો ત્યારે એમણે ફોન ઉપાડવાનું ટાળ્યું હતું. આ દોડને ક્યા સંજોગોમાં મંજૂરી આપવામાં આવી?આવા બેજવાબદાર તંત્ર તથા આયોજકો સામે કોવિડના નિયમ ભંગ બદલ કડક કાર્યવાહી કરવા માંગ ઊઠી છે. રાજ્યકક્ષા ટ્રાંસપોર્ટ અને ટુરિઝમ પ્રધાન અરવિંદ રૈયાણીએ પણ આ રેલી કરતા પહેલા સમીક્ષા કરી હતી. એ સમયે મીડિયા તથા મોટી સંખ્યામાં લોકો એકઠા થાય તો શું પગલાં લેવા, તકેદારી રાખવી એ વિષય પર પ્રશ્ન કરાયો તો કહ્યું કે, મારા ધ્યાન પર છે હું જોઈ લઉું છું. એક બાજુ કેન્દ્રકક્ષાના નેતાઓ કોવિડગાઈડલાઈન્સનું પાલન કરવા માટે ભાર દઈને કહી રહ્યા છે. એવામાં ભાજપના નેતાઓ આ રીતે લોકોને એકઠા કરીને કાર્યક્રમ કરી રહ્યા છે.

મેરેથોન દોડના કાર્યક્રમ બાદ ગીર સોમનાથ જિલ્લા પોલીસે કાયદેસરની કાર્યાવાહી કરી છે. ભારત વિકાસ પરિષદના આયોજક સામે પોલીસે ગુનો નોંધીને કાયદેસરના પગલાં લીધા છે. કોરોના કાળમાં મોટી સંખ્યામાં લોકોને ભેગા કરવા બદલ ગુનો દાખલ કર્યો છે. પોલીસે આયોજક સહિતના જવાબદાર વ્યક્તિઓની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી કરી છે. વેરાવળ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે.

