રાજ્યમાં કોરોનાના ત્રીજી લહેર શરૂ થઈ ચુકી છે. રોજબરોજ કોરોનાના કેસોમાં વધારો થઈ રહ્યો છે. તો કોરોનાની ત્રીજી લહેરમાં વેક્સિનના બંને ડોઝ લેનારાઓ પણ સંક્રમિત બન્યા હોવાના બનાવો સામે આવ્યાં છે. ત્યારે કોરોના વેક્સિનના બંને ડોઝ લેનારા અમરેલીના લિલીયાના અંટાળિયાના આધેડનું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે.

અમરેલી પંથકમાં કોરોનાની ત્રીજી લહેરની શરૂઆત થઈ ચુકી છે. દિન પ્રતિદિન કોરોનાનું સંક્રમણ પણ વધ્યું છે. તો કોરોનાના વધતા કેસોને લઈને આરોગ્ય તંત્રમાં પણ દોડધામ મચી છે. લિલીયાના અંટાળામાં રહેતા ભરતભાઈ અમુભાઈ જોષી (ઉ.49) નામના આધેડને ચાર દિવસ પહેલા કોરોનાનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. તેને પહેલા અમરેલીની ખાનગી હોસ્પિટલમાં સારવાર અપાવી હતી. તબીયત વધુ લથડતા તેને સારવાર માટે રાજકોટની હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં તેમનું સારવાર દરમયાન મોત નીપજ્યું હતું.

મૃતકના ભાઈ બટુકભાઈ જોષીએ જણાવ્યું છે કે, કોરોનાથી સંક્રમિત થયા બાદ તેને પહેલા અમરેલી હોસ્પિટલમાં પાંચ દિવસ માટે સારવારમાં રખાયા હતાં. ત્યારબાદ રાજકોટની કોવિડ હોસ્પિટલમાં ખસેડાયા હતા. મૃતકે 8 મહિના પહેલા જ વેક્સિનના બંને ડોઝ પણ લીધા હતા. કોરોના વેક્સિનના બંને ડોઝ લીધા બાદ પણ આધેડ કોરોનાગ્રસ્ત થયા હતા.

