કોરોના વાયરસની ત્રીજી વેવની શકયતાઓ વચ્ચે છેલ્લા થોડા દિવસમાં કેસ વધી રહ્યા છે ત્યારે વડાપ્રધાન મોદીએ 15થી 18 વર્ષના બાળકોને જાન્યુઆરી 2022ના પહેલા અઠવાડિયાથી વેક્સીનેટ કરવા મંજૂરી આપી દીધી છે.રાજકોટ સ્વનિર્ભર શાળા મંડળ તરફથી સરકારને શાળઓને એમના શાળા પરિસરમાં જ વેક્સીનેશન કેમ્પ યોજીને વાલીઓની મંજૂરી સાથે વિદ્યાર્થીઓનું વેક્સીનેશન કરવા અપીલ કરવામાં આવી છે.

રાજકોટમાં શાળા સંચાલકોએ કહ્યું હતું કે, જો સ્કૂલમાં વેક્સીનેશન કેમ્પ કરવામાં આવે તો કુલ ત્રણ મહિના એટલે 90 દિવસમાં રાજ્યના 30 લાખ બાળકોને વેક્સીનેટ કરી શકાય છે. આ માટે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, શિક્ષણમંત્રી અને આરોગ્ય સચીવ સહિતના મોટા અધિકારીઓને ખાસ રજૂઆત કરવામાં આવી છે. રાજકોટ શાળા સંચાલક મંડળ પ્રમુખ ડી.વી.મહેતાએ કહ્યું હતું કે, સરકાર જો વેક્સીનની કામગીરી જો શાળાઓને સોંપી દે તો બાળકોનું વેક્સીનેશન ખાનગી, સરકારી કે ગ્રાન્ટેડ શાળાના માધ્યમથી વધારે સરળતાથી થઈ શકે. રાજકોટ શહેરના એક લાખ સહિત રાજ્યભરના 30 લાખ વિદ્યાર્થીને વેક્સીનેટ કરી શકાય.આમ 100 ટકા વેક્સીનેશન કરી શકાય. રાજ્યભરની શાળાઓના દરેક વિદ્યાર્થીઓને યુનિક આઈડી નંબર આપવામાં આવ્યા છે. જેના લીધે તમામ વિદ્યાર્થીઓના ડેટા શાળા સંચાલકોની પાસે હોવાથી આ કામગીરી ખૂબ જ સરળ બની રહેશે. કોરોના પ્રોટોકોલ અનુસાર જ વેક્સીનેશન કરી શકાશે. દેશમાં કોરોના વાઈરસના ઓમિક્રોન વેરિઅન્ટના વધતા ખતરાને ધ્યાનમાં રાખીને રસીકરણ અભિયાનને વધુ તીવ્ર બનાવવા પર ભાર આપવામાં આવી રહ્યો છે. આ દરમિયાન ભારત બાયોટેકનું કહેવું છે કે, બીજા અને ત્રીજા તબક્કાના અભ્યાસમાં તેની રસી 2થી 18 વર્ષની વય જૂથમાં પણ ખૂબ અસરકારક છે.

બાળકોમાં પુખ્ત વયના લોકો કરતાં સરેરાશ 1.7 ગણી સારી એન્ટિબોડીઝ હોય છે. આ સિવાય બાળકોને કોવેક્સિન લગાવ્યા બાદ ઈન્જેક્શનની જગ્યા પર લોહી ગંઠાઈ જવા કે દુખાવો થવા જેવી કોઈ વાત ન હતી. આપી તા.11 ઓક્ટોબરે સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશનની વિષય નિષ્ણાંત સમિતિએ અમુક શરતો સાથે 2- 18 વર્ષના બાળકોમાં ભારત બાયોટેકના ઈમરજન્સી ઉપયોગ માટેની અરજી પર વિચાર કર્યા પછી કિશોરો માટે કોવેક્સીનના કટોકટીના ઉપયોગ માટે મંજુરી આપવાની ભલામણ કરી હતી.

