એક બાજુ રાજ્ય સરકાર વિદ્યાર્થીઓને ભણાવવા માટે મસમોટા પાયા પર આયોજન કરીને ભણશે ગુજરાત અભિયાન કરે છે. પણ ગ્રાઉન્ડ રિયાલિટી એવી છે કે, મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ વચ્ચે શિક્ષકની સંખ્યા જૂજ છે. બીજી તરફ સરકાર શિક્ષકોની ભરતીને લઈને મગનું નામ મરી પાડતી નથી. શિક્ષણના ભાવિ અને બાળકોના ભણતરને લઈને વિચારતા કરી દે આવી સ્થિતિ રાજકોટ જિલ્લામાંથી સામે આવી છે.

રાજકોટ જિલ્લાના જેતપુરમાં દીવા તળે અંધારૂ હોય એવી હાલત છે. જેતપુર તાલુકાના ચારણ સામઢિયાળા ગામે ગ્રામ્ય વિસ્તારના બાળકો સાથે ચેડા થઈ રહ્યા છે. પ્રાથમિક શાળામાં છેલ્લા પાંચ વર્ષથી એક જ મહિલા શિક્ષણ તમામ વિષયની જવાબદારી નિભાવે છે. જેનું નામ છે પ્રીતિબેન દાણાધારિયા. આ અંગે જ્યારે એમને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે ઘણી બાબતો પર અફસોસ વ્યક્ત કર્યો છે. આચાર્ય વિનતુબેન પાનસુરિયાએ પણ સ્વૈચ્છિક નિવૃતિ જાહેર કરી દીધી છે. તેથી તા.31 ડીસેમ્બરના રોજ તેઓ વિદાય લઈ રહ્યા છે. આ સિવાય બીમારીને કારણે તેઓ અવારનવાર રજા લેતા હોવાથી બાળકોના અભ્યાસના સાતત્ય સામે સવાલ ઊભા થયા છે. છેલ્લા પાંચ વર્ષથી સ્થિતિ એવી છે કે, સ્કૂલમાં માત્ર બે વ્યક્તિઓનો સ્ટાફ છે. ધો.1થી 8ના ધોરણમાં 86 વિદ્યાર્થીઓ વચ્ચે માત્ર એક જ શિક્ષક છે.

જે તમામ વિષય અંગે પાયાનું નોલેજ આપે છે. આ વિષય પર પ્રીતિબેન કહે છે કે, શિક્ષકોનો સ્કૂલમાં અભાવ છે. જેના કારણે ગ્રામ્ય વિસ્તારના બાળકોનું ભાવિ સ્પષ્ટ દેખાતું નથી. તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી અને ગ્રામ પંચાયતમાં અનેકવાર રજૂઆત કરી હોવા છતાં સમસ્યાનો કોઈ નીવેડો નથી. એક બાજુ પ્રવેશોત્સવ અને વિદ્યા મહત્ત્વના નામે સરકાર મોટા તાયફા કરે છે પણ ગ્રાઉન્ડ પર સ્થિતિ અંગે નિરિક્ષણ કરવાનો સમય ખુદ જિલ્લા શિક્ષણાધિકારીને પણ નથી એવી સ્થિતિ આ ગામની છે. બે દિવસ પહેલા ગુજરાત હાઈકોર્ટે એવી ટકોર કરી હતી કે, બાંધકામ ચાલું હોય તો સ્કૂલને લઈને વૈકલ્પિક વ્યવસ્થા શિક્ષણાધિકારી કરે.

પણ આ વાત અહીં લાગુ પડતી ન હોય એવો માહોલ છે. વાવાઝોડાને કારણે સ્કૂલ પરિસરની દિવાલ તૂટી ગઈ છે. આવી ધ્રુજાવી દેતી ઠંડીમાં બાળકો જમીન પર બેસીને ખુલ્લામાં અભ્યાસ કરવા માટે મજબુર થયા છે. આ સિવાસ સ્વચ્છતાને લઈને જે ગ્રાન્ટ આવતી એ પણ નથી આવતી. આ બધી સમસ્યા તો ગૌણ છે પણ પ્રાથમિક તો શિક્ષકોની ઘટ છે. આટલી સંખ્યામાં દરેક વિદ્યાર્થીઓને પૂરતું એજ્યુકેશન એક વ્યક્તિ થકી આપવું શક્ય નથી. શાળાનો સમય સવારે 11થી 5નો છે. રિશેષના સમયને પણ બાદ કરીએ તો એક વ્યક્તિ બધા વિષયમાં કેવી રીતે પહોંચી શકે? ગામના એક વાલી પંકજભાઈએ કહ્યું કે, આ પહેલા તાલુકા વિકાસ અધિકારી તથા શિક્ષણાધિકારીને રજૂઆત કરી છે. સરકારી અધિકારીઓ કામને લઈને એકબીજાને ખો આપતા હોય એવું લાગે છે. સ્કૂલના એક મહેક્કમ અનુસાર જો આવનારા દિવસોમાં સ્ટાફ નહીં આપવામાં આવે તો આ સ્કૂલની તાળાબંધી કરી દઈશું.

