અમદાવાદ, શુક્રવાર
ગઈકાલે GLS કોલેજની બહાર ABVP દ્વારા વિદ્યાર્થીઓને ખેસ પહેરાવીને જય શ્રી રામના નારા લગાવડવામાં આવ્યા હતા. આ મામલે NSUIએ GLS કોલેજમાં પહોંચીને ઉગ્ર રજુઆત કરી હતી. જ્યારે વિદ્યાર્થીએ પણ પોલીસ ફરિયાદ માટે પણ અરજી કરી હતી. વિદ્યાર્થીએ એવું પણ જણાવ્યું હતું કે, હું NSUIમાં જોડાયો એટલે મને કેસરી ખેસ પહેરાવીને જય શ્રી રામના નારા લગાવડાવ્યા હતા. તો બીજી તરફ NSUIના નેતા સામે GLS યુનિવર્સિટીના ABVPના મહિલા મંત્રી સાથે ગેર વર્તણૂક કરી હોવાની અરજી કરાઈ છે.
ભોગ બનનાર વિદ્યાર્થીએ જણાવ્યું હતું કે, હું કોલેજ કેમ્પસ જવા નીકળ્યો હતો, ત્યારે GLSના ડિઝાઇનિંગ ગેટ પાસે 20-25 ABVPના કાર્યકરો ઉભા હતા, સવારથી જ NSUIના કાર્યકરોને હેરાન કરવાના ઉદ્દેશથી ગેટ પાસે ઉભા હતા. હું ત્યાંથી પસાર થયો ત્યારે તે લોકો મને તેમની પાસે લઈ જઈને જોર જબરજસ્તી કરવા લાગ્યા હતા અને કહેવા લાગ્યા કે તે કેમ NSUI જોઈન કર્યું, NSUI છોડી દે તેવી ધમકી આપવા લાગ્યા અને તેમનો ખેસ પહેરાવીને જય શ્રી રામ અને ABVP ઝિંદાબાદના નારા લગાવડાવ્યા હતા. NSUI નહીં છોડે તો કોલેજ આવતા મારીશ તેવી ધમકી આપી હતી. મેં પોલીસ સ્ટેશનમાં અરજી કરી છે પણ ફરિયાદ માટે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી અને કોલેજે પણ કોઈ કાર્યવાહી કરી નથી.NSUIના નેતા નારાયણ ભરવાડે જણાવ્યું હતું કે, ગઈકાલે ABVPના કાર્યકરો દારૂ પીધેલી હાલતમાં હતા. જે બાદ આ ઘટના બની છે. છોકરીઓની છેડતી કરી છે ત્યારબાદ વિદ્યાર્થીઓની રેગિંગ કરી છે. ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. પોલીસ યોગ્ય તપાસ કરે અને આરોપીની ધરપકડ કરે તેવી અમારી માંગણી છે. જેને લઈને અમે પોલીસ કમિશનરને પણ મળીશું.

