રાજ્યમાં એસ.એસ.સી. અને એચ.એસ.સી. બોર્ડની આગામી પરીક્ષા હવે નજીક આવી ગઈ છે ત્યારે હજી સુધી સરકાર દ્વારા અભ્યાસક્રમ ઘટાડા અંગેની કોઇ જ જાહેરાત ન કરવામાં આવી હોવાથી વિદ્યાર્થીઓ અને વાલીઓ મૂંઝવણ અને ચિંતાસભર પરિસ્થિતિમાંથી પસાર થઇ રહ્યા છે. કોરોનાકાળમાં બાળકો માનસિક રીતે સ્વસ્થતાપૂર્વક અભ્યાસ ન કરી શકયા હોય અને કેટલાક કિસ્સામાં તો બાળકના પરિવારમાંથી જ કોઇ સ્વજનનું અવસાન થયું હોય કે ગંભીર રીતે સંક્રમિત થયા હોય તેવા પરિવારના બાળકોની મનઃસ્થિતિ અકલ્પનીય છે. આ ઉપરાંત ધો.9 અને 10 તેમજ ધો.11 અને 12નો અભ્યાસક્રમ પરસ્પર અનુબંધ સધાયેલો હોય છે, જેથી ગત વર્ષે તમામ બાળકોને ઓનલાઇન જ શિક્ષણ મેળવ્યું છે. આથી ગત વર્ષનો કોન્સેપ્ટ પણ સારી રીતે કિલયર થઇ શકયો નથી.
એટલું જ નહીં, સરકાર દ્વારા ઓનલાઇન શિક્ષણનો વિકલ્પ પણ ખુલ્લો રાખેલો હોવાથી અમુક ટકા બાળકોએ આ વિકલ્પ સ્વીકાર્યો હોવાથી શિક્ષણ સારી રીતે આત્મસાત કરી શકયા નથી. સરકારના શિક્ષણ વિભાગની એસ.ઓ.પી. મુજબ વર્ગખંડની ક્ષમતાના 50 ટકા બાળકો જ બોલાવવાના હોય, જ્યાં આગળ વિદ્યાર્થી સંખ્યા વધુ હોય તેવી સ્કુલોમાં બાળકોને અલ્ટરનેટ બોલાવવામાં આવ્યાં હતાં. શિક્ષકો દ્વારા પણ 100 ટકા અભ્યાસક્રમને કઇ રીતે ન્યાય આપી શકાયો નથી. સરકાર દ્વારા બાળકોના વિશાળ હિતને ધ્યાનમાં રાખીને વહેલીતકે અભ્યાસક્રમ ઘટાડાની જાહેરાત કરવામાં આવે તેવી વિદ્યાર્થીઓ અને વાલીઓની લાગણી અને માગણી છે આ અંગે વાલી મંડળ દ્વારા શિક્ષણમંત્રીને રજુઆત કરવામાં આવી છે.
(તસવીર પ્રતિકાત્મક છે)

