સામાન્ય રીતે સમાજમાં એવું જોવા મળે છે કે, યુવાનો પોતાના મેરેજને યાદગાર બનાવવા માટે અલગ અલગ આઈડિયા અપનાવતા હોય છે. ક્યારેક થીમ બેઝ વેડિંગ તો ક્યારેક ડેસ્ટિનેશન વેડિંગ કરીને સંસારની શરૂઆતને અનોખી રીતે ડેકોરેટ કરે છે. પણ ઓડિશામાંથી એક એવી ઘટના સામે આવી છે જેને અનેક દેશવાસીઓનું ધ્યાન ખેંચ્યું છે. ઓડિશામાં એક અનોખા લગ્ન થયા, જેની ચર્ચા સમગ્ર દેશમાં થઈ રહી છે. આ લગ્નમાં જ્યારે મહેમાનો આવ્યા ત્યારે તેમને ત્યાં ઘણી સજાવટ જોવા મળી પણ લગ્ન મંડપમાં અગ્નિકુંડ ન હતો.
પરંતુ લગ્નનો મંડપ ગાયબ જોઈને તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. વર-કન્યાએ અગ્નિને સાક્ષી માનીને 7 ફેરા લીધા ન હતા પણ સંવિધાનના શપથ લઈને લગ્ન કર્યા હતા. આ ઉપરાંત લગ્નમાં ભેટને બદલે તેમણે લોકો પાસેથી તથા મહેમાનો પાસેથી રક્તદાન કરવાનું આશ્વાશન લીધું હતું. બિજય કુમાર ઓડિશાના બેરહામપુરનો રહેવાસી છે, જ્યારે કન્યા શ્રુતિ ઉત્તર પ્રદેશની છે. બંને એક ખાનગી પેઢીમાં નોકરી કરે છે. પોતાના લગ્નમાં કોઈ પંડિતને આમંત્રણ આપ્યું ન હતું. જ્યારે તમામ મહેમાનો કાર્યક્રમમાં પહોંચ્યા ત્યારે તેઓએ એકબીજાના ગળામાં માળા પહેરાવી હતી. આ પછી, તેઓએ સંવિધાનના શપથ લીધા અને જીવનભર સાથે રહેવાનું વચન આપ્યું. દંપતીએ મહેમાનોને મોંઘી ભેટો લાવવાની ના પાડી. તેના બદલે, તેમણે દરેકને રક્તદાન કરવા વિનંતી કરી. આ માટે સ્થળ નજીક વિશેષ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો. આ સાથે બંનેએ બધાને અંગદાન વિશે જણાવ્યું અને આ દિશામાં આગળ આવવા વિનંતી કરી.
આ મામલે બિજયના પિતા ડી મોહન રાવે કહ્યું કે, તેમના મોટા પુત્રના લગ્ન 2019માં સમાન સમારંભમાં થયા હતા. જો કે તે દરમિયાન દુલ્હનના પરિવારજનોને ઘણું સમજાવવું પડ્યું હતું. હવે તેણે શ્રુતિના માતા-પિતાને પરંપરાગત હિંદુ રીતિ-રિવાજોને અનુસરવાને બદલે સંવિધાનના નામે લગ્ન કરવા માટે સમજાવ્યા. રાવના મતે સંવિધાન એક પવિત્ર પુસ્તક છે. લોકો આમાં સામેલ આદર્શોથી વાકેફ રહે તે જરૂરી છે. તે જ સમયે, આ વિસ્તારમાં કાર્યરત એક સંસ્થાએ જણાવ્યું હતું કે છેલ્લા ત્રણ વર્ષમાં આવા ચાર લગ્ન થયા છે.

