નવી દિલ્હી, ગુરુવાર
ભારત અને માલદીવની વચ્ચે સારા સંબંધો રહ્યા છે. પરંતુ તાજેતરના વર્ષોમાં ચીનની વધતી ગતિવિધિઓને કારણે મજબૂત સંબંધ નબળા પડતા દેખાય રહ્યા છે. હાલના સમયમાં બંને સરકારો વચ્ચે સારા સંબંધો છે. પરંતુ માલદીવમાં ફરી એકવાર ભારત વિરોધી દેખાવ થઈ રહ્યા છે. આ ઈન્ડિયા આઉટ પ્રદર્શનને માલદીવના વિપક્ષી નેતા અબ્દુલા યામીન ચલાવી રહ્યા છે.
ડિસેમ્બરના પ્રારંભથી યામીનની પ્રોગ્રેસિવ પાર્ટી ઓફ માલદીવ ઈન્ડિયા આઉટ કેમ્પેન ચલાવી રહી છે. પાર્ટીનું કહેવું છે કે આ કેમ્પનનો હેતુ ભારતીય સૈનિકોને માલદીવમાંથી હટાવવાનો છે. યામીન ખુદ પણ હે છે કે તેઓ ભલે સત્તારુઢ પ્રશાસન કોઈ ભારતીય સૈન્ય ઉપસ્થિતિનો ઈન્કાર કરતું હોય, પરંતુ અમે અભિયાનને આગળ વધારીશું. વિપક્ષી પાર્ટીના આ પગલાથી માલદીવની સરકાર પરેશાન છે. માલદીવની સરકારનું કહેવું છે કે ભારત પ્રત્યે નિરાધાર જાણકારીને લઈને લોકોની વચ્ચે નફરત ફેલાવાય રહી છે. તેમને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે. સરકારે કહ્યું છે કે ભારત માલદીવનું સૌથી મોટા ઘનિષ્ઠ દ્વિપક્ષીય ભાગીદારોમાંથી છે.

સરકારે કહ્યું છે કે તેવામાં ભારત માટે ઘૃણા ફેલાવવા અને ખોટા આરોપ લગાવવાથી ભરોસાપાત્ર સહયોગી દેશ સાથે સંબંધ ખરાબ થાય છે. માત્ર એટલું જ નહીં, તેનાથી માલદીવના નાગરિક ખાસ કરીને વિદેશોમાં રહેનારાઓની સુરક્ષા પ્રભાવિત થાય છે. તાજેતરના સપ્તાહોમાં માલદીવ સરકારે બીજી વખત આ પ્રકારનું નિવેદન આપ્યું છે. 2013થી 2018 વચ્ચે યામીન માલદીવના રાષ્ટ્રપ્રમુખ હતા. તે દરમિયાન માલદીવ અને ભારતની વચ્ચે સંબંધ ઘણાં ખરાબ થઈ ગયા હતા. રણનીતિક રીતે બેહદ મહત્વપૂર્ણ લામૂ અને અડ્ડૂ અટોલથી ભારતને બે હેલિકોપ્ટરો પાછા લેવા પડયા હતા. તે દરમિયાન યામીન ભારતનો વિરોધ કરતા ચીનને માલદીવમાં સ્થાન આપતા રહ્યા.
2018ની ચૂંટણીમાં ઈબ્રાહીમ મોહમ્મદ સોલિહ માલદીવના નવા રાષ્ટ્રપ્રમુખ બન્યા. તેમણે ઈન્ડિયા ફર્સ્ટની વિદેશ નીતિ મૂકી અને સંબંધોને જોરદાર રીતે રિસેટ કર્યા. 2021ના એક ઈન્ટરવ્યૂમાં તેમણે ધ હિંદુ અખબાર સાથેની વાતચીતમાં માન્યું હતું કે તેમની સરકાર ભારત કેન્દ્રીત વિદેશ નીતિ ધરાવે છે. માલદીવના પૂર્વ રાષ્ટ્રપ્રમુખ મોહમ્મદ નશીદ પણ માને છે કે ભારત માલદીવ માટે એક બેહદ મહત્વપૂર્ણ દેશ છે.
પ્રોગ્રેસિવ પાર્ટી ઓફ માલદીવના ઉપાધ્યક્ષ અને સાંસદ મોહમ્મદ સઈદે કહ્યુ છે કે અમે ભારત અથવા ભારતના લોકોની વિરુદ્ધ નથી. અમે બોલીવુડ અને ભારતીય વ્યંજનો ઘણાં પસંદ કરીએ છીએ। મુશ્કેલી આ બધું નથી. મુશ્કેલી એ છે કે કિએટોલમાં ભારતીય સેનાની હાજરીના અહેવાલો છે અને સરકાર તેને સ્પષ્ટ કરી રહી નથી. અમે કોઈપણ વિદેશી સૈન્ય ઉપસ્થિતિનો વિરોધ કરીએ છીએ- ચાહે તે ભારત હોય, ચીન હોય અથવા અન્ય કોઈ હોય.

