જયપુર, બુધવાર
કેન્દ્રીય ગ્રામીણ વિકાસ રાજ્ય મંત્રી ફગ્ગનસિંહ કુલસ્તેએ જયપુરમાં પોતાની જ સરકારની સામે આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારી છે. તેમણે ખાનગી સેક્ટરમાં અનામત આપવાની માગણી કરી અને કેન્દ્ર સરકાર વિરુદ્ધ આંદોલન કરવાની હાકલ પણ કરી છે. મંગળવારે આદિવાસી વિકાસ પરિષદના રાષ્ટ્રીય સેમિનારને સંબોધિત કરતા ફગ્ગન સિંહે કહ્યું કે સરકારી કંપનીઓનું ખાનગીકરણ થઈ રહ્યું છે. તેવામાં સરકારે પ્રાઈવેટ સેક્ટરમાં પણ રિઝર્વેશન લાગૂ કરવું જોઈએ. જો સરકાર આવું નહીં કરે તો આપણે તેમના વિરૂદ્ધ ખાનગી સેક્ટરમાં આરક્ષણ લાગૂ કરવા માટે આંદોલન કરવું પડશે.
ફગ્ગનસિંહ કુલસ્તેએ કહ્યું કે આપણે આક્રમક રૂપે નેતાઓ અને રાજકીય પાર્ટીઓ વિરૂદ્ધ આંદોલન કરવું જોઈએ. ત્યારે જ તે આપણી વાત સાંભળશે. આરક્ષણ સંપૂર્ણપણે નાબૂદ થઈ જશે, તો આપણા લોકોને કોઈ લાભ નહીં મળે, એટલે જ આપણે સમય રહેતા આરક્ષણની લડત રમવી જોઈએ. ફગ્ગનસિંહ કુલસ્તેએ કહ્યું હતું કે આદિવાસી ચૂંટણીમાં પોતાની તાકાતનો પરચો બતાવે, જેનાથી રાજકીય પાર્ટીઓમાં સંદેશ જશે કે અમારા વિના તમારી સરકાર નહીં બને. તેમણે વધુમાં કહ્યું કે આદિવાસી MP-MLA સામૂહિક રીતે એક થઈ પોતાની વાત રજૂ કરે. આ તમામ પાસા મુખ્યમંત્રીને યાદ રહેવા જોઈએ. ત્યારે જ આદિવાસીઓની સમસ્યા સરકાર સુધી પહોંચશે અને તેનો ઉકેલ આવશે.

