રાજકોટમાં કોરોના વાયરસના નવા વેરિયન્ટ ઓમિક્રોનની એન્ટ્રી થઈ ચુકી છે. તો બીજી તરફ સતત વધી રહેલા કોરોનાના કેસોના કારણે આરોગ્યતંત્રમાં દોડધામ મચી છે. ત્યારે આજે રાજકોટમાં 24 કલાકની અંદર કોરોનાથી ત્રણના મોત નીપજ્યા હોવાનું સામે આવ્યું છે.

રાજકટોના કાલાવડ રોડ ઉપર આવેલા ક્રિસ્ટલ મોલ નજીક આવેલા વિસ્તારમાં રહેતા 82 વર્ષના વૃદ્ધને કોરોનાના લક્ષણો જણાતા રાજકોટની ખાનગી હોસ્પિટલમાં સારવારમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તેના સેમ્પલને પરિક્ષણ માટે મોકલવામાં આવ્યાં હતાં. જેનો રિપોર્ટ કોરોના પોઝિટીવ આવ્યો હતો. રિપોર્ટ પોઝિટીવ આવ્યાના ગણતરીના કલાકોમાં જ વૃદ્ધનું મોડીરાત્રીના મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે.

આ ઉપરાંત મોરબી રોડ ઉપર રહેતા 65 વર્ષના વૃદ્ધની તબીયત લથડતા તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તબીબોના પ્રાથમિક નિરિક્ષણમાં કોરોનાના લક્ષણો હોવાનું સામે આવતા તેના સેમ્પલ લઈને લેબોરેટરીમાં પરિક્ષણ માટે મોકલવામાં આવ્યાં હતાં. જેમાં વૃદ્ધનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. તેનું પણ સારવાર દરમયાન મોત નીપજ્યું હતું.

તો છેલ્લા એક અઠવાડીયામાં સૌરાષ્ટ્ર-કચ્છમાં કોરોનાના કેસો જેટ ગતિએ વધી રહ્યાં છે. ત્યારે પોરબંદર રહેતા 70 વર્ષના વૃદ્ધમાં કોરાનાના શંકાસ્પદ લક્ષણો જણાતા તેને સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તેમનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. અને વૃદ્ધે ચાલુ સારવાર દરમયાન હોસ્પિટલમાં જ દમ તોડી નાંખ્યો હતો. આમ 24 કલાકમાં જ રાજકોટમાં કોરોનાથી ત્રણ વૃદ્ધના મોત નીપજ્યાં હોવાનું સામે આવ્યું છે.

