નવી દિલ્હી, મંગળવાર
દેશમાં ઓમિક્રોનના કેસ 200ને પાર પહોંચી ગયા છે. સૌથી વધુ પ્રભાવિત રાજ્યમાં દિલ્હી અને મહારાષ્ટ્ર સામેલ છે. બંને રાજ્યોમાં ઓમિક્રોનના 54-54 કેસ મળ્યા છે. આમા ખતરાની વાત એ છે કે દેશમાં પહેલા 100 મામલા 15 દિવસમાં મળ્યા હતા અને 100થી 200 કેસ મળવામાં માત્ર 5 દિવસનો સમય લાગ્યો છે.
દેશમાં ઓમિક્રોનના સૌથી પહેલા બે કેસ 2 ડિસેમ્બરે કર્ણાટકમાં મળ્યા હતા.14 ડિસેમ્બરે તેની સંખ્યા વધીને 50 થઈ હતી. 17 ડિસેમ્બરે ઓમિક્રોનના કેસની સંખ્યા 100ની થઈ હતી. આગામી 100 કેસ થવામાં માત્ર 5 દિવસ લાગ્યા. દેશના 13 રાજ્યોમાં ઓમિક્રોનના કેસ સામે આવ્યા છે. ઓમિક્રોન મામલે દુનિયાભરના વૈજ્ઞાનિકો કહી રહ્યા છે કે તેનો સંક્રમણ દર ઘણો વધારે છે. દેશમાં ઓમિક્રોનના આંકડા જોતા કહી શકાય છે કે તેના ચેપની રફ્તાર વધી ગઈ છે.
અમેરિકાના ટેક્સાસમાં ઓમિક્રોન વેરિએન્ટથી પહેલું મોત નોંધાયું છે. આરોગ્ય વિભાગે જણાવ્યું છે કે આ વ્યક્તિએ વેક્સિનનો એકપણ ડોઝ લગાવ્યો ન હતો. મૃતકની વય 50થી 60 વર્ષની વચ્ચેની છે. અમેરિકાના સેન્ટર ફોર ડિસિઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શનના જણાવ્યા પ્રમાણે 11 ડિસેમ્બરે સમાપ્ત થનારા સપ્તાહમાં નવા કોરોના કેસમાં 73.2 ટકા મામલા ઓમિક્રોનના છે. આના પહેલા બ્રિટનમાં ઓમિક્રોનના કારણે એક વ્યક્તિનું મોત નીપજવાની ઘટના બની છે.
ભારતમાં નીતિ પંચના સદસ્ય ડૉ. વી. કે. પૉલે કહ્યુ હતુ કે જો આપણે બ્રિટમાં ઓમિક્રોનના સંક્રમણના ફેલાવાના માપદંડને જોઈએ અને ભારતની વસ્તી સાથે તેની સરખામણી કરીએ, તો કહી શકાય કે સંક્રમણ ફેલાવાની સ્થિતિમાં ભારતમાં દરરોજ 14 લાખ કેસ આવી શકે છે. તેમણે એમ પણ કહ્યુ હતુ કે દરેક કેસનું જીનોમ સિક્વિન્સિંગ કરી શકાય નહીં.
ડૉ. પૉલે કહ્યુ હતુ કે દુનિયામાં દ્વિતિય ક્રમે ભારતમાં જીનોમ સિક્વન્સિંગ કરાય રહ્યું છે અઇને તેને સતત વધારવામાં આવી રહ્યું છે. તેમણે કહ્યુ હતુ કે દરેક કેસના જીનોમ સિક્વેન્સિંગ કરવાનું શક્ય નથી. આ બીમારીની ઓળખનો નહીં, પરતુ મહામારીના આકલન અને તેના નિરીક્ષણનું ટૂલ છે. આપણે એ વાતનો ભરોસો અપાવી શકીએ કે હાલપુરતા સિસ્ટેમેટિક સેમ્પલિંગ કરાય રહ્યા છે.

