ગુરુદાસપુર, મંગળવાર
જમ્મુ-કાશ્મીરમાં અત્યાર સુધી ઘૂસણખોરીની કોશિશો કરનારા પાકિસ્તાની આતંકીઓ હવે પંજાબમાં પણ સક્રિય થઈ ગયા છે. બીએસએફે મંગળવારે સવારે જ ગુરુદાસપુર સેક્ટરમાં એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાસ કર્યો છે. બીએસએફ દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ઘૂસણખોરને સવારે પોણા સાત વાગ્યે ઠાર કરાયો હતો. આ ઘૂસણખોર ગુરુદાસપુર સેક્ટરથી ભારતીય સીમામાં ઘૂસી આવ્યો હતો. ગત કેટલાક દિવસોથી પાકિસ્તાન દ્વારા પંજાબ સીમા પર હરકતો વધી ગઈ છે. રવિવારે રાત્રે પણ પાકિસ્તાન તરફથી ભારતીય સીમામાં ઘૂસવાની કોશિશ કરી રહેલા ડ્રોન પર બીએસએફના જવાનોએ ફાયરિંગ કરીને તેને ખદેડયું હતું.
જાણકારી પ્રમાણે, બીએસએફની 18મી બટાલિયનની બીઓપી કસ્સોવાલ સીમા પર તહેનાત મહિલા જવાનોએ સીમા પર પાકિસ્તાન ડ્રોન ઉડતું જોયું. જવાનોએ તાત્કાલિક કાર્યવાહી કરીને ડ્રોન પર ફાયરિંગ શરૂ કર્યું હતું. તેના પછી તે પાછું જતું રહ્યું હતું. જમ્મુથી લઈને પંજાબ સુધી ગત કેટલાક મહિનાઓમાં ડ્રોન એટેક અને ઘૂસણખોરી જેવી ઘટનાઓ વધી છે. જો કે ભારતીય સેના અને સુરક્ષાદળો સાવધ હોવાને કારણે પાકિસ્તાન તેના બદઈરાદાઓમાં નિષ્ફળ ગયું છે.

