ગાંધીનગર, મંગળવાર
ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાયેલી હેડ ક્લાર્કના પેપર લીકના પુરાવા રજૂ કરીને હીરો બનવા નીકળેલો યુવરાજસિંહ 72 કલાકમાં ઝીરો થઈ ગયો હતો. પેપર લીક મામલે ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ અસિત વોરાની હકાલપટ્ટીની માગ કરનાર યુવરાજસિંહે એકાએક ‘હર્ષ’ના બોલ બોલવા લાગ્યો હતો. એટલું જ નહીં, સરકારની તપાસ કામગીરી અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની કુનેહને વખાણી હતી તેમજ તપાસ નિષ્પક્ષ હોવાનું રટણ કર્યું હતું.
વિદ્યાર્થી નેતા અસિત વોરાને બદલે હર્ષ સંઘવીને મળ્યા હતા
હેડ ક્લાર્કના પેપર લીકના મામલે પુરાવા આપીને તપાસની માગણી કરનાર વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા છેલ્લા કેટલાક દિવસથી ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ સાથે વાત કરવાને બદલે સીધા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પાસે પહોંચી ગયા હતા. તેમની સાથેની બેઠક બાદ આ વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે તપાસ નિષ્પક્ષ અને અસરકારક થશે તેવો રાગ અલાપતા હતા, જેને પગલે આજે ગૃહ રાજ્યમંત્રીએ આજે પરીક્ષા રદ કરવાની જાહેરાત કરતાં જ યુવરાજસિંહ 72 કલાક બાદ જાહેરમાં દેખાયા હતા.
પત્રકારો સમક્ષ હર્ષ સંઘવીનાં ભરપૂર વખાણ
ગાંધીનગર અખબાર ભવન ખાતે પત્રકારો સાથેની વાતચીતમાં હર્ષ સંઘવીની જાહેરાતને સહર્ષ સ્વીકરતા હોય તેમ તપાસથી સંતોષ માન્યો હતો. આ ઉપરાંત ગૃહ રાજ્યમંત્રીને પત્રકારો સાથેની વાતચીત દરમિયાન સાહેબથી સંબોધન કર્યું હતું. ગૌણ સેવા પસંદગીના ચેરમેન સામે પગલાં ભરવાની વાતને પણ તેમણે હળવાશથી લઈને તપાસમાં જે જવાબદાર નીકળે તેની સામે કડક પગલાં ભરવા જોઈએ એવી માગ કરી હતી.
આપના વિરોધનો પણ વિરોધ કર્યો
સોમવારે 20મી ડિસેમ્બરે આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત પ્રદેશ ભાજપ હેડ ક્વાર્ટર કમલમ ખાતે થયેલા વિરોધ પ્રદર્શનને પણ યુવરાજસિંહે અયોગ્ય ગણાવ્યું હતું. એટલું જ નહીં, વિરોધ કરવા માટે સરકારી ઓફિસ ખાતે વિરોધ પ્રદર્શન કરવાની સોનેરી સલાહ આપી હતી

