નવી દિલ્હી, રવિવાર
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવતે શનિવારે હિમાચલપ્રદેશના ધર્મશાળામાં એક કાર્યક્રમમાં કહ્યુ છે કે ગત. 40 હજાર વર્ષો પહેલાથી ભારતના તમામ લોકોના ડીએનએ સમાન છે. તેમણે કહ્યુ છે કે આપણા પૂર્વજોએ ઘણાં બલિદાન આપ્યા છે. ત્યાગ કર્યો છે. તેથી આપણી સંસ્કૃતિ આજે પણ જીવિત છે. આપણો દેશ ફાલી-ફૂલી રહ્યો છે. આપણે આપણા પૂર્વજોનું અનુસરણ કરીએ છીએ. માટે તેમના પ્રત્યે આપણી નિષ્ઠા પણ છે.
ધર્મશાળામાં સંઘ પ્રમુખ મોહન ભાગવતે કહ્યુ છે કે આરએસએસને મીડિયા સરકારનું રિમોટ કંટ્રોલ ગણાવે છે, પરંતુ આ વાત બિલકુલ સાચી નથી. તેમણે કહ્યુ છે કે ભારત એક વિશ્વશક્તિ નથી, પરંતુ નિશ્ચિતપણે મહામારી બાદ વિશ્વગુરુ બનવાની ક્ષમતા ધરાવે છે.
પૂર્વ સૈનિકોને સંબોધિત કરતા ભાગવતે કહ્યુ છે કે એ સાચું છે કે અમારા કેટલાક કાર્યકર્તાઓ સરકારનો ભાગ છે. પંરતુ મીડિયા અમને સરકારના રિમોટ કંટ્રોલ તરીકે પ્રસ્તુત કરે છે. આમા બિલુકલ પણ સચ્ચાઈ નથી. આ અસત્ય છે. સરકાર અમારા સ્વયંસેવકોને કોઈ આશ્વાસન આપતી નથી. લોકો અમને પુછે છે કે અમને સરકાર પાસેથી શું મળે છે તો હું આવા લોકોને કહી દઉં કે અમારી પાસે જે કંઈપણ છે, તેને અમારે ગુમાવવું પણ પડી શકે છે.
ચિકિત્સાની પ્રાચીન ભારતીય પ્રથાઓ સંદર્ભે મોહન ભાગવતે કહ્યુ છેકે આપણા પરંપરાગત ભારતીય ઉપચારો કાઢા, ક્વાથ હતા. પરંતુ હવે આખી દુનિયા ભારત તરફ જોઈ રહી છે અને ભારતીય મોડલનું જ પાલન કરવા માંગે છે. આપણો દેશ ભલે વિશ્વશક્તિ ન બને, પરંતુ વિશ્વ ગુરુ જરૂર થઈ શકે છે.
કાર્યક્રમમાં મોહન ભાગવતે તમિલનાડુના કુન્નૂરમાં હેલિકોપ્ટર દુર્ઘટનામાં જીવ ગુમાવનારા સીડીએસ જનરલ બિપિન રાવત સહીત તમામ 14 લોકોને યાદ કરતા એક મિનિટનું મૌન રાખ્યું હતું. તેમણે કહ્યુ હતુ કે ભારતની અવિભાજીત ભૂમિ સદીઓથી વિદેશી આક્રમણખોરો સામે ઘણી લડાઈ હારી, કારણ કે લોકો એકજૂટ ન હતા. ભાગવતે સમાજસુધારક બી. આર. આંબેડકરને ટાંકીને કહ્યુ હતુ કે આપણે ક્યારેય કોઈને શક્તિથી નહીં, પરંતુ આપણા નબળાઈઓથી હારીએ છીએ. એજન્સી પ્રમાણે, ભાગવત હિમાચલ પ્રદેશના પાંચ દિવસીય પ્રવાસે છે અને તેઓ તિબેટના આધ્યાત્મિક ગુરુ દલાઈ લામાને પણ મળે તેવી શક્યતા છે.

