અમૃતસર, રવિવાર
પંજાબના અમૃતસર સુવર્ણ મંદિરમાં પવિત્ર ગુરુ ગ્રંથ સાહિબને તોડફોડ કરવાનો પ્રયાસ કરનાર વ્યક્તિ પર સ્થાનિકો રોષભેર તૂટી પડ્યા હતા અને તેને પતાવી દીધો હતો. ડીસીપી પરમિન્દરસિંહે આ વ્યક્તિના મોતની વાતને સમર્થન આપતા કહ્યું હતું કે, ‘મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે લઈ જવામાં આવ્યો છે. તે એકલો હતો એવું અત્યારે તો લાગી રહ્યું છે, બાકી મામલાની તપાસ ચાલી રહી છે.’ આ ઘટના બાદ સુવર્ણ મંદિરમાં વાતાવરણ ગરમાયું છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, રેહરાસ સાહિબ પાઠ દરમિયાન એક અજાણ્યા યુવકે સુવર્ણ મંદિરની અંદરની રેલિંગ પરથી કૂદીને ગુરુ ગ્રંથ સાહિબની સામે મૂકવામાં આવેલી તલવારને કથિત રીતે ખેંચવાનો પ્રયાસ કર્યો હતો. યુવકની આવી હરકતથી આક્રોશિત બનેલા ટોળાએ તેને પકડીને ફટકારતાં તેનું મોત નિપજ્યું હતું. પંજાબના ગૃહમંત્રી સુખજિન્દર સિંહ રંધાવાએ પણ હરિમંદિર સાહિબ ગુરુદ્વારામાં કથિત રીતે ઘૂસેલા વ્યક્તિના મોતની પુષ્ટિ કરી છે. બીજેપી નેતા મનજિંદરસિંહ સિરસાએ ષડયંત્રનો આરોપ લગાવતા કહ્યું હતું કે, આ ઘટના અંગે તેમણે ગૃહમંત્રી અમિત શાહ સાથે વાત કરી છે અને તેમણે તપાસ સુનિશ્ચિત કરવાની ખાતરી આપી છે.
મુખ્યમંત્રીએ ઘટનાની નિંદા કરીને તપાસના આદેશ આપ્યા
SGPCના કાર્યકારી સભ્ય ગુરપ્રીતસિંહ રંધાવાએ સોશિયલ મીડિયા પર શ્રી અમૃતસર સાહિબમાં થયેલી દુર્ભાગ્યપૂર્ણ ઘટનાની નિંદા કરીને પંજાબ સરકારે તાત્કાલિક તપાસ કરવી જોઈએ એવી માંગ પણ કરી હતી. જો કે, પંજાબના મુખ્યમંત્રીએ આ કિસ્સામાં તપાસના આદેશ આપી જ દીધા છે. પંજાબના મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીએ કહ્યું કે હું શ્રી હરિમંદિર સાહિબના ગર્ભગૃહમાં શ્રી રેહરાસ સાહિબના પાઠ દરમિયાન શ્રી ગુરુ ગ્રંથ સાહેબને અપમાનિત કરવાના પ્રયાસ જેવા દુર્ભાગ્યપૂર્ણ અને જઘન્ય કૃત્યની નિંદા કરું છું. આ મામલે તપાસના આદેશ આપવામાં આવ્યા છે.

