ચંદીગઢ, રવિવાર
પંજાબના કપૂરથલાના નિજામપુર મોડ ગુરુદ્વારા સાહિબમાં નિશાનસાહિબના અપમાનના મામલે ઝડપાયેલા આરોપી યુવકની ભીડે પોલીસની હાજરીમાં માર મારીને હત્યા કરી દીધી છે. તેને રવિવારે સવારે ગ્રામીણોએ બેઅદબીના આરોપમાં ઝડપ્યો હતો. તેના પછી તેને એક રૂમમાં બંધ કરવામાં આવ્યો હતો. પોલીસ તેને એરેસ્ટ કરીને પોતાની સાથે લઈ જવાની કોશિશ કરી રહી હતી. પરંતુ ભીડે પોલીસ સાથે ઘર્ષણ કર્યું હતું. તેના પછી પોલીસે હવામાં ગોળીબાર પણ કર્યા હતા.
તેના પછી પોલીસ અને દેખાવકારો વચ્ચે ખૂબ ધક્કામુક્કી થઈ હતી. પોલીસે આરોપી પર કાયદાકીય કાર્યવાહીનો ભરોસો આપ્યો,પરંતુ હવે તેનું મોત નીપજ્યું છે. આ સતત બીજો દિવસ છે કેજ્યારે બેઅદબીના આરોપીની હત્યા કરવામાં આવી છે. આના પહેલા શનિવારે સાંજે અમૃતસરમાં બેઅદબીના આરોપી યુવકની માર મારીને હત્યા કરી દેવામાં આવી હતી. મહત્વપૂર્ણ છે કે ઘટનાસ્થળે એકઠી થયેલી ભીડને લાઉડસ્પીકરથી અપીલ કરવામા આવી કે તેઓ બધાં હથિયાર લઈને અંદર આવી જાય. તેના પછી મોટી સંખ્યામાં લોકો બારી તોડીને રૂમમાં દાખલ થયા હતા. અહીં આરોપી યુવકને રાખવામાં આવ્યો હતો અને તેને ભીડે મોતને ઘાટ ઉતારી દીધો હતો. આ દુર્ઘટના સમયે કપૂરથલાના એસએસપી એચ.પી.એસ. ખખ મોટી સંખ્યામાં પોલીસ ફોર્સ સાથે દરવાજાની બહાર જ ઉભા હતા. આ ઘટનાથી હવે પંજાબમાં પોલીસની પરિસ્થિતિને લઈને પણ સવાલ ઉભા થઈ ગયા છે કે તેમની હાજરીમાં આવા પ્રકારની ઘટના થઈ છે.
પંજાબમાં શનિવારે સાંજે અમૃતસર બાદ સતત બીજા દિવસે રવિવારે સવારે કપૂરથલામાં નિજામપુર ખાતે ગુરુદ્વારમાં એક યુવકે નિશાન સાહિબ સાથે છેડછાડ કરી હતી. તેના પછી ગ્રામીણોએ તેને ઝડપીને કેદ કર્યો હતો. ભીડને પોલીસ પર આરોપીને સજા અપાવી શકશે તેવો ભરોસો ન હતો. ભૂતકાળની આ ઘટનાઓમાં માનસિક સ્થિતિ ઠીક નહીં હોવાનું કહીને આરોપી સજાથી બચી જતા હતા. તેથી ભીડે પોતાના હિસાબથી આરોપીને સજા આપવાનીવાત કહી હતી. તેમ છતાં પોલીસ મામલાને સંભાળી શકી નહીં અને આખરમાં ભીડે આરોપીને મોતને ઘાટ ઉતારી દીધો હતો.

