નવી દિલ્હી, શનિવાર
દુનિયાભરમાં કોરોનાના વધતા મામલાની વચ્ચે દેશમાં નીતિ પંચના સદસ્ય ડૉ. વી. કે. પૉલે ચિંતા વ્યક્ત કરી છે. એક પ્રેસ કોન્ફરન્સમાં ડૉ. પોલે કહ્યુ છે કે જો આપણે બ્રિટનમાં ઓમિક્રોનના ચેપના માપદંડ જોઈએ અને ભારતની વસ્તીની સાથે તેની સરખામણી કરીએ તો કહી શકાય છે કે ચેપ ફેલાવવા પર ભારતમાં દરરોજ 14 લાખ કેસ આવશે. તેમણે એમ પણ કહ્યુ છે કે દરેક કેસનું જીનોમ સિક્વન્સિંગ કરી શકાય નહીં.
તેમણે કહ્યુ છે કે કોરોનાના વધતા કેસ માટે ઓમિક્રોન સંક્રમણ માનવામાં આવે છે, પરંતુ આ તેને લઈને તમામ બાબતો સ્પષ્ટ થઈ નથી. આના પર રિસર્ચ ચાલુ છે અને સરકાર તમામ નવા ડેવલોપમેન્ટ પર નજર રાખી રહી છે. તેવામાં કહેવામાં આવે છે કે ઓમિક્રોન સ્ટ્રેન હળવા ઈન્ફેક્શન જ ફેલાવે છે. તેમણે યૂરોમાં ઓમિક્રોનના ચેપની ઝડપને હાઈલાઈટ કરી અને ભારતની વસ્તીથી તેની સરખામણી કરી છે.
ડૉ. પૉલે કહ્યુ છે કે દુનિયામાં બીજા નંબર પર ભારતમાં જીનોમ સિક્વેન્સિંગ થઈ રહી છે અને તેને સતત વધારવામાં આવી રહી છે. તેમણે કહ્યુ છે કે દરેક કેસનું જીનોમ સિક્વેન્સિંગ કરવું શક્ય નથી. આ બીમારીની ઓળખનો નહીં, પરંતુ મહામારીના આકલન અને તેના મોનિટરિંગ કરવાનું ટૂલ છે. અમે એ વાતનો ભરોસો આપી શકીએ છીએ કે હાલ પુરતા સિસ્ટેમેટિક સેમ્પલિંગ કરાય રહ્યા છે.
શુક્રવારે બ્રિટનમાં ઓમિક્રોનને 3201 કેસ નોંધાયા હતા. આ ઓમિક્રોનની ઓળખ થયા બાદ બ્રિટનમાં એખ દિવસમાં મળેલા સૌથી વધુ કેસ છે અહીં નવા વેરિએન્ટ ઓમિક્રોનના કુલ 14909 કેસ થઈ ગયા છે. બ્રિટનની હેલ્થ સિક્યોરિટી એજન્સીએ પણ કહ્યુ છે કે દેશમાં ગત 24 કલાકમાં 93045 કોરોનાના નવા કેસ નોંધાયા છે. સતત ત્રીજા દિવસે બ્રિટનમાં સૌથી વધુ કેસનો રેકોર્ડ બન્યો છે. તેની સાથે જ દેશમાં કોરોનાના કુલ 1.19 કરોડ કેસ થઈ ગયા છે. ફ્રાંસમાં શુક્રવારે 65 હજારથી વધારે કોરોનાના નવા કેસ સામે આવ્યા હતા. ઓમિક્રોન વેરિએન્ટના સામે આયા બાદ ડેનમાર્ક અને નોર્વેમાં પણ ડેલી ઈન્ફેક્શનમાં ઝડપ જોવા મળી રહી છે.
ભારતના આરોગ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે કહ્યુ છે કે ભારતમાં અત્યાર સુધીમાં 12 રાજ્યોમાં 113 ઓમિક્રોન કેસ મળ્યા છે. શુક્રવારે 26 કેસ નોંધાયા હતા. મહારાષ્ટ્રમાં સૌથી વધુ 40 કેસ, પછી દિલ્હીમાં 22, રાજસ્થાનમાં 17, તેલંગાણા અને કર્ણાટકમાં 8-8, ગુજરાતમાં 7, કેરળમાં 5, યુપીમાં 2 અને તમિલનાડુ, આંધ્રપ્રદેશ, પ.બંગાળ અને ચંદીગઢમાં 1-1 કેસ મળ્યો છે.
લવ અગ્રવાલે કહ્યુ છે કે ડબ્લ્યૂએચઓ પ્રમાણે, દક્ષિણ આફ્રિકામાં ઓમિક્રોન વેરિએન્ટ ડેલ્ટા સ્ટ્રેનના મુકાબલે ઘણો ઝડપથી ફેલાય રહ્યો છે. બીજા શબ્દોમાં કહીએ તો ઓમિક્રોન ડેલ્ટા વેરિએન્ટથી ઘણો વધારે ખતરનાક સાબિત થઈ રહ્યો છે. મહત્વપૂર્ણ છે કે દક્ષિણ આફ્રિકામાં જ 24 નવેમ્બરે ઓમિક્રોન વેરિએટના પહેલા કેસની ઓળખ થઈ હતી.
ડૉ. વી. કે. પૉલે કહ્યુ છે કે જો કે યુરોપમાં લોકોના ભરતી થવાનો દર ઘણો ઓછો છે અને હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર કોઈ દબાણ નથી. તેમ છતાં પરિસ્થિતિ ડરામણી છે. તેમણે કહ્યુ છે કે આપણે આવી પરિસ્થિતિનો સામનો કરવા માટે તૈયાર રહેવું જોઈએ. શિયાળામાં ઠંડું હવામાન પણ વાયરસના ચેપના ફેલાવામાં મદદગાર સાબિત થશે. જો કે હજી પરિસ્થિતિ સ્થિર છે, પરંતુ આપણે સાવધાની રાખવી જોઈએ।
ડબ્લ્યૂએચઓની એડવાઈઝરીને ટાંકીને દેશની આરોગ્ય સંસ્થાઓએ લોકોને અપીલ કરી છેકે તેઓ ઓમિક્રોનને હળવો માનીને તેના પ્રત્યે બેદરકાર થાય નહીં, કારણ કે ઓમિક્રોન સાથે જોડાયેલા તમામ તથ્ય સામે આવ્યા નથી. તેના પર રિસર્ચ ચાલુ છે. ICMRના મહાનિદેશક બલરામ ભાર્ગવે કહ્યુ છે કે ઓમિક્રોન ઘણો ઝડપથી દુનિયામાં ફેલાય રહ્યો છે. લોકોએ સાવધાની રાખીને બિનજરૂરી પ્રવાસ અને ભીડભાડથી પરહેજ કરવો જોઈએ. તેમણે કહ્યુ છે કે જે રાજ્યોમાં કોરોનાના નવા કેસ વધી રહ્યા છે, અથવા એમ કહો કે જે 5 ટકાથી વધારે પોઝિટિવ કેસવાળા જિલ્લા છે, તે આકરા ઉપાયો લાગુ કરે.

