હૈદરાબાદ, શનિવાર
ભારતીય વાયુસેનાધ્યક્ષ એર ચીફ માર્શલ વી. આર. ચૌધરીએ તેલંગાણામાં એરફોર્સ એકેડેમીની ગ્રેજ્યુએશન પરેડમાં ભાગ લીધો હતો. તેમણે કહ્યુ હતુ કે એરફોર્સ પાકિસ્તાન અને ચીન તરફથી થનારા ખતરાઓનું સતત મૂલ્યાંકન કરી રહી છે. અમે સ્થિતિથી સારી રીતે વાકેફ છીએ. તેમણે કહ્યુ છે કે ચીન સાથે ગતિરોધ ચાલુ છે. લડાખમાં કેટલાક વિસ્તારોમાં ડિસએન્ગેજમેન્ટ થયું છે, પરંતુ ખતરો સંપૂર્ણપણે ટળ્યો નથી. આ વિસ્તારોમાં એરફોર્સની તહેનાતી ચાલુ રહેશે. અમે અહીં કોઈપણ પડકારને પહોંચી વળવા માટે તૈયાર છીએ.
હૈદરાબાદની નજીક ડુંડીગલમાં એરફોર્સ એકેડેમીની ગ્રેજ્યુએશન પરેડામાં ચૌધરીએ કહ્યુ છે કે એરફોર્સ પરિવર્તનના તબક્કામાંથી પસાર થઈ રહી છે. એરફોર્સમાં રફાલ જેવા ઘણાં નવા ફાઈટર જેટ્સ સામેલ કરવામાં આવ્યા છે. 36 રફાલનો કોન્ટ્રાક્ટ હતો અને 32 રફાલ આવી ચુક્યા છે. બચેલા 4માંથી 3 એરક્રાફ્ટ ફેબ્રુઆરીમાં ભારત આવી જશે. આખરી એરક્રાફ્ટની કેટલીક ટ્રાયલ બાકી છે, જે પુરી થયા બાદ ભારત આવશે.
એર ચીફ માર્શલ ચૌધરીએ એરફોર્સ એકેડેમીના કેડેટ્સની પ્રશંસા કરતા કહ્ય છે કે તમારા હાઈ સ્ટાન્ડર્ડ્સ ભવિષ્યમાં સુરક્ષિત અને પ્રભાવી ઓપરેશનનો આધાર બનશે. આર્મ્ડ ફોર્સનો સમૃદ્ધ વારસો આગળ વધારવા માટે એરફોર્સને યુવા અધિકારીઓ જરૂરત છે. તેમણે એરફોર્સ એકેડેમીની કમ્બાઈન્ડ ગ્રેજ્યુએશન પરેડની સમીક્ષા કરી હતી. કોરોનાને કારણે આ વખતે ફ્લાઈટ કેડેટ્સના માતાપિતાને સીજીપીમાં બોલાવાયા ન હતા. પરેડ સમાપ્ત થયા બાદ કેડેટ્સે સેલિબ્રેટ કર્યુ હતું.
એરફોર્સ ચીફ ચૌધરીએ જનરલ રાવત અને તેમના પત્ની મધુલિકા રાવત તથા અન્ય 12 સૈન્યકર્મીઓના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યુ હતુ કે હું સીડીએસ જનરલ બિપિન રાવત, મધુલિકા રાવત અને 12 જવાનોના નિધન પર દુખ વ્યક્ત કરું છું. કોર્ટ ઓફ ઈન્ક્વાયરી કરાય રહી છે, વરિષ્ઠ અધિકારી દુર્ઘટનાની તપાસ કરી રહ્યા છે. આ પ્રક્રિયામાં દરેક પાસાઓ તપાસાય રહ્યા છે. તકનીકી ખરાબી અથવા કોઈ પણ કારણથી દુર્ઘટના થઈ, તપાસ પ્રક્રિયા બાદ તે ઉજાગર થશે.

