HomeGujaratપ્રાકૃતિક ખેતી કરતા પરિવારને દેશી ગાયના નિભાવ માટે દર મહિને રૂ.900ની સહાય...

પ્રાકૃતિક ખેતી કરતા પરિવારને દેશી ગાયના નિભાવ માટે દર મહિને રૂ.900ની સહાય મળે છે : મુખ્યમંત્રી

ગાંધીનગર, શુક્રવાર

  નેશનલ કોન્કલેવ ઓન નેચરલ ફાર્મિંગને સંબોધન કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, સરદારસાહેબની દ્રઢ ઇચ્છાશક્તિ અને નિર્ધારથી એક અને અખંડ રાષ્ટ્રનું નિર્માણ થયું. હવે પ્રધાનમંત્રીના સંકલ્પથી અનેકતામાં એકતા સાથે આત્મનિર્ભર ભારતનું નિર્માણ થઇ રહ્યું છે. ગુજરાત આત્મનિર્ભર ભારતના નિર્માણમાં આત્મનિર્ભર ગુજરાતથી પોતાનું યોગદાન આપવા કટિબદ્ધ છે. પ્રધાનમંત્રીની પ્રેરણાથી યોજાનારી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ- 2022ની થીમ પણ આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારત રાખવામાં આવી છે.

   તેમણે એમ પણ કહ્યું કે સંસ્કૃતિની, જમીનની, પ્રજાની, ભાષાની, પોશાકની, ખાનપાનની, આબોહવાની એવી અનેક વિવિધતા વચ્ચે કૃષિ ક્ષેત્રની પણ આગવી વૈવિધ્યતા ભારતમાં છે. આપણે ત્યાં રણપ્રદેશથી લઈને નદીના કાંપવાળી જમીનનો પ્રદેશ છે તો સાથોસાથ પર્વતીય ટેકરા વાળી જમીન પર ખેતી અને પર્વતની ગોદમાં ફળદ્રુપ જમીનની ખેતી પણ છે. કૃષિ વિવિધતા ધરાવતા ભારતમાં આઝાદી પછી અનાજની માંગ પૂરી કરવા હરિત ક્રાંતિ આવી હતી. આના પરિણામે સુધારેલા બિયારણો અને રાસાયણિક ખાતરોના ઉપયોગથી ખેત ઉત્પાદન વધ્યું હતું.

  મુખ્યમંત્રીએ રાસાયણિક ખેતીના દુષ્પ્રભાવ અંગે કહ્યું કે, કાળક્રમે આપણે જે પોતાનું હતું તે વિસરી ગયા અને રાસાયણિક ખાતર પાછળ આંધળી દોટ મૂકી હતી. આવા રસાયણોના ઉપયોગથી પર્યાવરણ દૂષિત થયું છે. જમીનની ફળદ્રુપતા ઘટતી ગઇ અને ખેત પેદાશોમાં જંતુનાશક દવાઓના અવશેષો આવવાને કારણે માનવ સ્વાસ્થ્ય પર ખરાબ અસરો પડી છે. આપણે ત્યાં કહેવત છે કે અન્ન એવો ઓડકાર આપણી થાળીમાં જે અન્ન આવે છે તે રાસાયણિક ખાતરથી પકવેલું હોય તો ધીમા પગલે શરીરમાં રોગ-બિમારીનો પેસારો પણ કરાવે છે. તેનાથી સ્વાસ્થ્યને નુકસાન થાય છે. આ બધી પરિસ્થિતિ સામે લડવા તેમજ જળ-જમીન, પર્યાવરણ અને માનવ સ્વાસ્થ્યનું રક્ષણ કરવા માટે હવે ‘બેક ટુ નેચર’- પ્રાકૃતિક ખેતી તરફ વળવું એ જ શ્રેષ્ઠ વિકલ્પ છે.

   ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, પ્રાકૃતિક ખેતી કુદરતના સિદ્ધાંત પર આધારિત ખેતી છે. ફક્ત એક દેશી ગાયના ગોબરમાંથી અને ગૌમુત્રમાંથી જીવામૃત બનાવી વીસ એકરમાં ખેતી થઈ શકે છે. ખેતી ખર્ચ નહિવત અને ગુણવત્તા ઉત્તમ એવી આ ખેતી છે. આજે વિશ્વના મોટાભાગના દેશોમાં આવા નેચરલ ફાર્મિંગ- ઝીરો બજેટ ખેતીથી ઉત્પન્ન થયેલા ખેત ઉત્પાદનની બહુ મોટી માંગ છે. વર્લ્ડ માર્કેટ આવી પ્રોડક્ટ માટે ખુલ્લું છે. મુખ્યમંત્રીએ ઉમેર્યું કે, પ્રાકૃતિક ખેતી કરતા પરિવારને દેશી ગાયના નિભાવ માટે પ્રતિમાસ રૂપિયા 900ની સહાય આપવામાં આવે છે. રાજયમાં 2020-21ના વર્ષમાં એક લાખ પાંચ હજાર ખેડૂતોને આવી કુલ 57.62 કરોડ સહાય ચૂકવવામાં આવી છે.

  પ્રાકૃતિક ખેતી માટે મોટાપાયે કિસાનોને પ્રેરિત કરવા બાયસેગ સેટેલાઈટ અને ઇ-ગ્રામ સેન્ટર જેવા માધ્યમથી અત્યાર સુધી આઠ લાખ વીસ હજાર ધરતીપુત્રોને માર્ગદર્શન આપવામાં આવ્યું છે તેમ તેમણે ઉમેર્યું હતું. આદિજાતિ વિસ્તાર અને રાજ્યમાં છેક છેવાડાના જિલ્લા ડાંગને 100 ટકા પ્રાકૃતિક ખેતીયુક્ત જિલ્લો બનાવી દીધો છે તેમ તેમણે જણાવ્યું હતું. પ્રધાનમંત્રીના માર્ગદર્શન અને પ્રેરણાથી પ્રાકૃતિક ખેતીની દિશામાં આપણે જેટલા આગળ વધીશું તેટલા ખેડૂત અને ખેતી સમૃદ્ધ થશે – આત્મનિર્ભર બનશે એમ જણાવતાં મુખ્યમંત્રીએ કહ્યું કે ‘વોકલ ફોર લોકલ’ના મંત્ર સાથે પ્રાકૃતિક ખેતીથી ઉત્પન્ન થયેલું અન્ન અને ઉત્પાદનો વિશ્વ સમક્ષ પહોંચાડી ભારતને જગતગુરુ બનાવવાની નેમ સાકાર થશે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,310SubscribersSubscribe

TRENDING NOW