નવી દિલ્હી, શુક્રવાર
મુખ્ય ચૂંટણી કમિશનર સુશીલ ચંદ્રા અને અન્ય બે ચૂંટણી કમિશનરો રાજીવ કુમાર અને અનૂપચંદ્ર પાંડેની વડાપ્રધાન કાર્યાલય સાથેની વાતચીતને લઈને આવેલા મીડિયા અહેવાલ બાદ વિપક્ષ કોંગ્રેસે સવાલ ઉઠાવ્યો છે. કોંગ્રેસે સવાલ કર્યો છે કે ચૂંટણીના તટસ્થ હોવાની આશા કેવી રીતે કરી શકાય છે. ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ પ્રમાણે, ચૂંટણી પંચના આ અધિકારીઓએ 16 નવેમ્બરે પીએમઓ સાથે ઓનલાઈન વાતચીત કરી હતી.
રાજ્યસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસી સાંસદ મલ્લિકાર્જૂન ખડગેએ ચૂંટણીની નિષ્પક્ષતા પર સવાલ ઉઠાવતા પુછયું હતું કે તેઓ(પીએમઓ) આવી રીતે કહી શકે નહીં. ચૂંટણી પંચના તટસ્થ રહેવાની આશા કરવામાં આવે છે. ન માત્ર આશા કરવામાં આવે છે, પરંતુ તે એક સ્વતંત્ર એકમ છે. તે ચૂંટણી પંચને કેવી રીતે બોલાવી શકે છે? ત્યારે અમે કેવી રીતે આશા કરી શકીએ કે ચૂંટણીઓ તટસ્થ હશે? પાંચ રાજ્યોની ચૂંટણીઓ યોજાવાની છે. અમે કેવી રીતે આશા કરી શકીએ કે અમને આગામી ચૂંટણીઓમાં ન્યાય મળશે ?
કોંગ્રેસના મહાસચિવ અને મુખ્ય પ્રવક્તા રણદીપ સૂરજેવાલાનો આરોપ છે કે સરકાર ચૂંટણી પંચને અધિનસ્થ ઉપકરણની જેમ વાપરી રહી છે. સૂરજેવાલાનો આરોપ છે કે સરસકાર દેશની સંસ્થાઓને નષ્ટ કરવા માટે નવા સ્તર પર આવી ગઈ છે. એ અહેવાલોને ટાંકતા કે કાયદા મંત્રાલયના એક અધિકારીએ વડાપ્રધાનના મુખ્ય સચિવ સાથે બેઠકમાં મુખ્ય ચૂંટણી કમિશનર અને ચૂંટણી પંચની ઉપસ્થિતિની માગણી કરી હતી, કોંગ્રેસના નેતાએ કહ્યુ છે કે આ સ્વતંત્ર ભારતમાં ક્યારેય સાંભળ્યું ન હતું. ગુપ્ત બાબતો બહાર આવી ગઈ છે. જે વાતનો અત્યાર સુધી ગણગણાટ હતો, તે હવે સચ્ચાઈ છે. પીએમઓ તરફથી ચૂંટણી પંચને બોલાવવું સ્વતંત્ર ભારતમાં સાંભળ્યું ન હતું. ચૂંટણી પંચની સાથે અધિનસ્થ ઉપકરણ જેવો વ્યવહાર કરવો મોદી સરકારના દરેક સંસ્થાને નષ્ટ કરવાના રેકોર્ડમાં નવું નીચલું સ્તર છે.

