લખનૌ, ગુરુવાર
આગામી વિધાનસભા ચૂંટણી પહેલા સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે ગુરુવારે પ્રસપાના અધ્યક્ષ અને તેમના કાકા શિવપાલ યાદવ સાથે મુલાકાત કરી છે. આ મુલાકાત દરમિયાન બંને પાર્ટીઓ વચ્ચે ગઠબંધન પર સંમતિ થઈ છે. આ જાણકારી ખુદ અખિલેશ યાદવે ટ્વિટ કરીને આપી છે.
અખિલેશ યાદવે મુલાકાતની તસવીર શેયર કરતા લખ્યુ છે કે પ્રસપાના રાષ્ટ્રીય અધ્યક્ષજી સાથે મુલાકાત થઈ અને ગઠબંધનની વાત નક્કી થઈ. પ્રાદેશિક પક્ષોને સાથે લાવવાની નીતિ સમાજવાદી પાર્ટીને નિરંતર મજબૂત કરી રહી છે અને સપા તથા અન્ય સહયોગીઓને ઐતિહાસિક જીત તરફ લઈ જઈ રહી છે. અખિલેશ યાદવ એકલા જ કાકા શિવપાલના ઘરે પહોંચ્યા. તેમણે શિવપાલ યાદવના ચરણસ્પર્શ કર્યા, તો ભાવુક થયેલા કાકાએ તેમને ગળે લગાવ્યા હતા. અખિલેશ યાદવની મુલાકાત આખા પરિવારની સાથે થઈ. શિવપાલ યાદવ અને તેમના પત્ની એટલે કે અખિલેશ યાદવના કાકી પણ હાજર રહ્યા. જો કે આ દરમિયાન ગઠબંધન પર પણ વાત નક્કી થઈ ગઈ.
શિવપાલ યાદવ મુલાયમસિંહ યાદવના નાના ભાઈ છે. તેની ગણતરી સમાજવાદી પાર્ટીના મોટા નેતાઓમાં થતી હતી. 2007માં માયાવતીના શાસનમાં શિવપાલ યાદવ યુપી વિધાનસભામાં વિપક્ષના નેતા હતા. જો કે 2017માં વિધાનસભા ચૂંટણી દરમિયાન અખિલેશ યાદવ અને શિવપાલ યાદવ વચ્ચે ખટાશ વધી હતી. તેના પછી શિવપાલ યાદવે પ્રગતિશીલ સમાજવાદી મોર્ચો બનાવવાનું એલાન કર્યું હતું. 2018માં શિવપાલે પોતાની પાર્ટી બનાવી અને 2019ની લોકસભાની ચૂંટણીમાં યુપીમાં પોતાની પાર્ટીના ઉમેદવારો પણ ઉતાર્યા હતા. તેના કારણે સમાજવાદી પાર્ટીને ઘણી બેઠકો પર નુકસાન પણ થયું હતું.

