કચ્છમાં પાછોતરો વરસાદ સારો વરસી જતા તમામ ડેમો અને તળાવોમાં પાણીનો વિપુલ પ્રમાણમાં સંગ્રહ થયો હતો. ચોમાસામાં પાક નહીં લઈ શકવાના કારણે નુકશાનીનું સાટુ વાળવાની આશાએ ખેડૂતોએ રવિ સીઝનમાં ઘઉં, રાયડો, જીરૂ સહિતના પાકોનું વાવેતર કર્યું હતું. ત્યારબાદ કમોસમી વરસાદે રવિપાકમાં જીવાતનો ઉપદ્રવ વધાર્યો હતો. ત્યારે હવે ખેડૂતોને યુરીયા ખાતરની જરૂર હોય કચ્છના મોટાભાગના વિસ્તારોમાં આવેલી મંડળીમાં ખાતરની અછત સર્જાઈ છે. જેના કારણે ખેડૂતોને પડ્યાં ઉપર પાટુ જેવો ઘાટ સર્જાયો છે.
અમારા ફેસબુક પેજને લાઈક કરવા માટે અહીં ક્લિક કરો
આ અંગેની જાણવા મળતી વિગત પ્રમાણે કચ્છ જિલ્લામાં છેલ્લા થોડાવર્ષોથી એક તરફ ભૂગર્ભ જળ ઉંડા ઉતરી રહ્યાં છે અને ક્ષારનું પ્રમાણ પણ વધવા લાગ્યું છે. કુવા અને બોર દ્વારા પેટાળમાંથી ઉલેચવામાં આવતા પાણીમાં ક્ષારનું વધારે પડતું પ્રમાણે ખેતીને નુકશાન પહોંચાડી રહ્યાં છે. જેના પરિણામે ખેડૂતો ખેતરમાં પાણી સાથે યુરિયા ખાતરનો ઉપયોગ કરે છે. ખેડૂતોને વ્યાજબી ભાવે ખાતર મળી રહે તે માટે તમામ ગામોમાં સહકારી મંડળીઓ આવેલી છે. જેના દ્વારા યુરિયા સહિતના ખાતરો અને બિયારણો ખેડૂતોને આપે છે.

હવે પરિસ્થિતિ એવી સર્જાઈ છે કે, કચ્છ જિલ્લામાં ખેડૂતોને પુરતા પ્રમાણમાં યુરિયા ખાતર મળી રહ્યું નથી. તેમજ જરૂરીયાત સમયે ખાતરની અછત સર્જાતા કાળા બજારીઓ તેનો લાભ ઉઠાવી રહ્યાં છે. યુરિયાની એક થેલીનો ભાવ જે નક્કી કર્યો છે તેના કરતા બમણા ભાવે ખરીદવાની ખેડૂતોને નોબત આવી છે. જેના કારણે ખેડૂતોમાં રોષની લાગણી જન્મી છે. જો યુરિયા ખાતર વ્હેલી તકે નહીં મળે તો ખેડૂતોએ વાવેલા ઘઉં, રાયડો, જીરૂ સહિતના પાકો નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે.

