DPS ઈસ્ટ સ્કૂલની ધો.1થી 8ની માન્યતા ન આપવા શિક્ષણ વિભાગનો નિર્ણય રદ્દ
નિત્યાનંદ સ્વામીના આશ્રમને કારણે વિવાદમાં ઘેરાયેલી DPS ઈસ્ટ, હિરાપુર સ્કૂલની માન્યતાને લઈને વાલી તથા વિદ્યાર્થીઓ માટે મોટા વાવડ સામે આવ્યા છે. ગુજરાત હાઈકોર્ટમાં કેલોરેક્સ ફાઉન્ડેશન DPS સ્કૂલની ધો.1થી 8ની માન્યતા ન આપવાના શિક્ષણ વિભાગના નિર્ણયને ગુજરાત હાઈકોર્ટે રદ્દ કરી દીધો છે. કેલોરેક્સ ફાઉન્ડેશન વકીલ બિજલ છત્રપતિએ જણાવ્યું હતું કે, કોર્ટે આ મામલે અવલોકન કર્યું છે. ધો.1થી 8ના વર્ગ શરૂ કરવા માટે શરૂ કરવામાં આવેલી પ્રક્રિયા કાયદા અનુસાર યોગ્ય છે.
જેથી તેને મંજૂરી મળવી જોઈએ. આ વિષયને લઈને કોર્ટે હાથીજણ વિસ્તારની DPS સ્કૂલની માન્યતા ન આપવાના શિક્ષણ વિભાગના નિર્ણયને રદ્દ કરતા કેલોરેક્સ ફાઉન્ડેશનની તરફેણમાં ગુજરાત હાઈકોર્ટે ચૂકાદો આપ્યો હતો. આ માટે સ્કૂલ સંચાલકોને ફરીથી કેલોરેક્સ ફાઉન્ડેશન સાથે એગ્રીમેન્ટ કરવા ફરજ પડી છે. હાઈકોર્ટમાં સ્કૂલ તરફથી એવી દલીલ કરવામાં આવી હતી કે, શિક્ષણ વિભાગ તરફથી મંજૂરી અંગે સાંભળવા માટેની કોઈ યોગ્ય તક આપવામાં આવી ન હતી. કોરોના વાયરસને કારણે શૈક્ષિણક વર્ષ પણ લંબાવી દેવામાં આવ્યું હતું. જેના કારણે ચાલું વર્ષે જુલાઈ મહિના સુધી સ્કૂલ ચાલું હતી. શિક્ષણ વિભાગની કોઈ મંજૂરી ન હોવા છતાં તર્ક સાથે રૂ.1 લાખનો દંડ કર્યો હતો. કોર્ટ પણ એક લાખ રૂપિયાનો દંડ રદ્દ કરી દીધો છે. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને બે અઠવાડિયામાં સ્કૂલ મંજૂરી અંગે પગલાં લેવા માટે આદેશ કર્યો છે. નિત્યાનંદ સ્વામીના આશ્રમ વિવાદ બાદ સ્કૂલની માન્યતા રદ્દ કરી દેવામાં આવી હતી. એ પછી સંચાલકોએ નવેસરથી સ્કૂલ શરૂ કરવા શિક્ષણ વિભાગમાં એક અરજી કરી હતી. જે શિક્ષણ વિભાગે ફગાવી દીધી હતી. DPSને નવેસરથી શરૂ કરવાની અરજી શિક્ષણ વિભાગે ફગાવી દેતા DPSએ ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી હતી.

ગુજરાત હાઈકોર્ટે શિક્ષણ વિભાગને નવી સ્કૂલને માન્યતા ન આપવાના હુકમને રદ્દ કર્યો છે. આ હુકમને કારણે ધો.1થી 8ના નવેસરથી વર્ગ શરૂ કરવા માટે માર્ગ મોકળો થયો છે. જોકે, DPOએ પ્રાથમિક મંજૂરીની અરજી નામંજૂર કરી હતી. એ પછી સ્કૂલે શિક્ષણ નિયામક સામે અપીલ કરી હતી. જેમાં પ્રાથમિક શિક્ષણ નિયામકે અપીલનો હુકમ આપતા અરજી નામંજૂર રખાઈ હતી. પ્રાથમિક શિક્ષણ નિયામકે સ્કૂલની અપીલને નામંજૂર રાખીને એક લાખનો દંડ કર્યો હતો. સરકારના એક આદેશ બાદ પણ નિયમ વિરૃદ્ધ એપ્રિલથી સ્કૂલ ચલાવવામાં આવી રહી હતી. સ્કૂલ મેનેજમેન્ટ સરકારના નિયમોનું ઘણીવાર પાલન ન કરતા પ્રાથમિક શિક્ષણ વિભાગે પ્રાયમરી માટેની અરજી નામંજૂર કરી કરી હતી.

