અમદાવાદ,મંગળવાર
રાજ્યમાં દેશના અન્ય રાજ્યો કરતાં કેન્સરના કેસોની સંખ્યાનું પ્રમાણ વધી રહ્યું છે. લોકસભાના શિયાળુ સત્રમાં કેન્દ્ર સરકારના આરોગ્ય વિભાગ દ્વારા આંકડા રજુ કરવામા આવ્યાં છે. આ આંકડામાં છેલ્લા ત્રણ વર્ષમાં બે લાખથી વધુ કેસો નોંધાયાં હતાં. જેમાં 1.11 લાખ દર્દીઓએ જીવ ગુમાવ્યો હતો. રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં કોરોના કરતાં કેન્સરથી વધુ મોત થયાં છે. કેન્સરની સારવાર માટે કેન્દ્ર સરકારે છેલ્લા ત્રણ વર્ષમાં ગુજરાતને 25.46 કરોડ રૂપિયાનું ફંડ ફાળવ્યું છે.
રાજ્યમાં છેલ્લા ત્રણ વર્ષમાં કેન્સરને કારણે 1 લાખ 11 હજાર 931 લોકોના મોત થયાં હતાં. જેમાં 2018માં 36 હજાર 325, વર્ષ 2019માં 37 હજાર 300 તથા 2020માં 38 હજાર 306 લોકોના મોતનું કારણ કેન્સર હતું. દેશમાં પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર, બિહાર, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાન કરતાં ગુજરાતમાં કેન્સરના કેસો વઘુ પ્રમાણમાં નોંધાય છે. દેશમાં 2020માં કેન્સરના કુલ 13 લાખ 92 હજાર 179 કેસો નોંધાયા હતાં. જ્યારે 7 લાખ 70 હજાર 230 લોકોના મોત થયાં હતાં. કેન્દ્ર સરકારે જરૂરિયાતમંદ વ્યક્તિઓને કેન્સરની સારવાર મળી રહે તે માટે છેલ્લા ત્રણ વર્ષમાં 37 રાજ્યોને ફંડની ફાળવણી કરી છે. જેમાં ગુજરાતને 2019-20માં 5.18 કરોડ, 2020-21માં 7.09 કરોડ જ્યારે 2021-22માં 12.38 કરોડનું ફંડ ફાળવ્યું છે કેન્દ્ર સરકારે અમદાવાદ ખાતેની ગુજરાત કેન્સર રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટને છેલ્લા ત્રણ વર્ષમાં કુલ 25.46 કરોડ રૂપિયાનું ફંડ જરૂરિયાતમંદ દર્દીઓની સારવાર માટે ફાળવ્યું છે.

