અમદાવાદ, રવિવાર
મહામારી કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનની ચિંતા સાથે કોવિડ – 19ના નવા કેસોમાં પણ સતત વધારો થતા સમાજમાં ચિંતા પ્રસરી છે. છેલ્લા ત્રણેક અઠવાડિયામાં માસ્ક તેમજ ઈમ્યુનિટી બૂસ્ટરનું વેચાણ પણ ત્રણ ગણું વધી ગયું છે. છેલ્લા એક જ સપ્તાહમાં 10 લાખ ડિસ્પોઝેબલ માસ્ક અને 3 લાખથી વધુ માસ્ક સમગ્ર ગુજરાતમાં નિયમિત વેચાયા હતા.
કોરોનાની બીજી લહેર પુરી થતા અને સરકાર દ્વારા પણ એક પછી એક પ્રતિબંધો હળવા કરવામાં આવતા સમાજમાં હળવાશ ફેલાઈ હતી અને પરિણામે, ગત નવેમ્બર મહિનામાં માસ્ક અને સેનેટાઈઝર એમ બંનેના વેચાણમાં ભાગ્યે જ માગમાં ઘટાડો જોવા મળ્યો હતો. જો કે, હવે ફરી માહોલ બદલાયો છે. ફેડરેશન ઓફ ગુજરાત સ્ટેટ કેમિસ્ટ્સ એન્ડ ડ્રેગિસ્ટ એસોસિએશનના એક અંદાજ મુજબ, ગુજરાતમાં કોવિડ – 19ના નવા કેસોમાં લગભગ રોજેરોજ ઊછાળો નોંધાતા સેનેટાઈઝરની માગમાં પણ ઓછામાં ઓછા 50 ટકા વધારો થયો છે. છેલ્લા 8થી 10 દિવસમાં તો આ તેજી ખુબ વધુ જોવા મળી રહી છે. ઈમ્યૂનિટી બૂસ્ટરના વેચાણમાં પણ નજીવો વધારો જોવા મળી રહ્યો છે. કેટલાક ગ્રાહકો કે જેમણે વિટામિન-સી જેવા ઈમ્યૂનિટી બૂસ્ટર ખરીદવાનું બંધ કરી દીધું હતું તેમણે ફરીથી આ દવાઓ માટે ઓર્ડર આપવાનું શરૂ કરી દીધું હોવાનું પણ એક કેમિસ્ટે જણાવ્યું હતું. FGSCDAના ચેરમેન અલ્પેશ પટેલે જણાવ્યું હતું કે, કેસમાં સતત વધારો થતાં લોકો હવે ફરીથી સાવચેત બનવા માંડ્યા છે અને ઓફિસ તેમજ અન્ય જાહેર જગ્યાઓમાં માસ્ક પહેરવાનું પસંદ કરી રહ્યા હોવાથી વેચાણ વધ્યું છે. (તસવીર પ્રતિકાત્મક છે)

