હરિદ્વાર, શનિવાર
તમિલનાડુ હેલિકોપ્ટર ક્રેશમાં જીવ ગુમાવનારા સીડીએસ જનરલ બિપિન રાવત અને તેમના પત્ની મધુલિકા રાવતના અસ્થિઓને શનિવારે હરિદ્વારમાં પવિત્ર ગંગા નદીમાં વિસર્જિત કરી દેવામાં આવ્યા છે. રાવતની બંને પુત્રીઓએ પોતાના માતાપિતાના અસ્થિઓનું વિસર્જન કર્યું છે. જનરલ રાવત અને મધુલિકા રાવતની પુત્રીઓ- કૃતિકા અને તારિણીએ આજે સવારે દિલ્હી છાવણીના બરાર સ્ક્વેર સ્મશાન ઘાટમાંથી પોતાના માતાપિતાની અસ્થિઓ એકઠી કરી હતી. જનરલ બિપિન રાવત અને મધુલિકા રાવતને બંને પુત્રીઓએ શનિવારે ભીની આંખે અંતિમ સંસ્કાર કર્યા હતા.
જનરલ રાવતની પુત્રીઓએ પોતાના માતાપિતાને એક જ ચિતા પર મુખાગ્નિ આપ્યો હતો. સંસ્કૃતમાં મંત્રોચ્ચાર વચ્ચે જનરલ રાવત અને તેમના પત્નીના અંતિમ સંસ્કાર પૂર્ણ સૈન્ય સમ્માન સાથે કરવામાં આવ્યા હતા. નિર્ધારીત પ્રોટોકોલ પ્રમાણે, સેનાના બેન્ડની ધુન સાથે તેમને 17 તોપોની સલામી પણ આપવામાં આવી હતી. બંને પુત્રીઓ તારિણી અને કૃતિકાએ અંતિમ સંસ્કાર સંબંધિત તમામ અનુષ્ઠાન સંપન્ન કર્યા હતા.
હેલિકોપ્ટર દુર્ઘટનામાં દેશના પહેલા સીડીએસ, તેમના પત્ની અને 11 અન્ય સૈન્યકર્મીઓના નિધન બાદ આખા દેશમાં શોકનો માહોલ છે. તિરંગામાં લપેટાયેલા તાબૂતમાં રાખવામાં આવેલા જનરલ રાવતના અવશેષો જેવા ફૂલોથી સજાવેલી તોપગાડીમાં મૂકવામાં આવ્યા, લોકોએ ફૂલોની પાંખડીઓનો વરસાદ કર્યો અને ભારતમાતા કી જય, વંદેમાતરમ, જબ તક સૂરજ ચાંદ રહેગા, રાવતજી કા નામ રહેગા, અને જનરલ રાવત અમર રહેના સૂત્રો પોકાર્યા હતા. લોકોએ અંતિમ સંસ્કાર સ્થળ પર પણ આવા જ સૂત્રો પોકાર્યા હતા.
સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ, કાયદા મંત્રી કિરેન રિજિજૂ, દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ, ભારતમાં ફ્રાંસના રાજદૂત ઈમેનુલ લેનિન અને ભારતમાં બ્રિટિશ હાઈકમિશનર એલેક્સ એલિસ પણ ભારતના પહેલા સીડીએસના અંતિમ સંસ્કારમાં હાજર હતા. અંતિમ યાત્રા માટે 2233 ફીલ્ડ રેજિમેન્ટે તોપગાડી ઉપલબબ્ધ કરાવી હતી. સીડીએસના અંતિમ સંસ્કારમાં સેનાના ત્રણેય અંગોમાંથી લગભગ 800 સૈન્યકર્મીઓ સામેલ હતા. ઘણાં દેશોના સૈન્ય અધિકારીઓએ પણ જનરલ રાવતઅને તેમના પત્નીનેશ્રદ્ધાંજલિ આપી હતી. શ્રીલંકા, ભૂટાન, નેપાળ અને બાંગ્લાદેશના ટોચના સૈન્ય કમાન્ડરો પણ અંતિમ યાત્રામાં સામેલ થયા હતા.

