અમદાવાદ ,શનિવાર
અમદાવાદમાં કોરોનાના કારણે થયેલા મોતના કિસ્સામાં જિલ્લા કલેક્ટર દ્વારા અત્યાર સુધીમાં ૪,૩૬૭ અરજીઓમાં અરજીદીઠ ૫૦ હજારની સહાય ચૂકવી દેવામાં આવી હોવાનું જિલ્લા કલેક્ટરે જણાવ્યું છે. અમદાવાદમાં કોવિડ-૧૯ના કારણે મોત થયાના કેસમાં મૃતકના પરિવારજનોને અત્યાર સુધીમાં ૨૧.૮૩ કરોડ રૂપિયા સહાયપેટે ચૂકવાયા છે. પાંચેક હજાર જેટલી અરજીઓ આવી છે. તેમાં બાકીના કેસમાં અરજીઓની ચકાસણી કરવાની કામગીરી ચાલી રહી છે. ટૂંક સમયમાં આ અરજીઓનો પણ નિકાલ કરાનાર હોવાનું અધિકારીઓ જણાવી રહ્યા છે.
અમદાવાદમાં કોરોનાના કારણે સત્તાવાર રીતે ૩,૪૦૦ જેટલા લોકોના મોત થયા હતા. આ લોકોની યાદી કલેક્ટર ઓફિસમાં તૈયાર છે. જેમાં અધિકારીઓ દ્વારા સામેથી બોલાવીને મૃતકના પરિવારજનોને સહાયનું ચૂકવણુંકરાઇ રહ્યું છે.કલેક્ટર પાસેના લિસ્ટમાં જે મૃતકના નામ હોય તેવા મૃતકના પરિવારજનોને અરજી કર્યાના ૨૪ કલાકમાં જ ૫૦ હજારની સહાયની રકમ ચૂકવી દેવામાં આવતી હોવાનું અધિકારીઓનું કહેવું છે. વારસદારના બેંક ખાતામાં જ રકમ સીધી જમા કરાવવામાં આવી રહી છે.અમદાવાદ જિલ્લા કલેક્ટર સંદિપ સાંગલેના જણાવ્યા મુજબ ૩,૮૦૦ જેટલી ઓફલાઇન અરજીઓ આવી છે. હવે ઓનલાઇન અરજીઓ પણ મંગાવાઇ રહી છે. મોટાભાગના લોકો ઓનલાઇન અરજી કરે છે આમ કુલ અરજીઓનો આંકડો પાંચેક હજાર જેટલો હોઇ શકે છે. પરંતુ તેમાંથી અત્યાર સુધીમાં ૪,૩૬૭ અરજીઓનો નિકાલ કરી દેવાયો છે અને તેમાં સહાયની રકમ પણ અરજદારના ખાતામાં ચૂકવી દેવાઇ છે.અમદાવાદ જિલ્લા કલેક્ટર કચેરીમાં કલેક્ટરની અધ્યક્ષતામાં અરજીઓના નિકાલની કામગીરી ચાલી રહી છે. કોવિડ ડેથના પુરાવા જોવા, ડૉક્ટરોની પેનલ પણ બનાવાઇ છે, સરકારી નામો સાથે મેળવણી કરવી, કોવિડ સારવારના પુરાવાની ખરાઇ કરવા સહિતની કામગીરી ચાલી રહી છે.
તાત્કાલિક ધોરણે સહાય ચૂકવવાની હોવાથી હાલ કોરોના સહાય ચૂકવણા માટે મોટાભાગના અધિકારીઓ કામે લાગ્યા છે.કલેક્ટરના જણાવ્યા મુજબ કોરોનામાં મૃત્યું હશે તેવા કિસ્સામાં દરેકને સહાયની રકમ ચૂકવાશે. ચકાસણી સહિતના કામને લઇને મોડું થઇ શકે છે પરંતુ સહાય અવશ્ય ચૂકવાશે. ઓફલાઇન અરજી કરી હોય તેવા કિસ્સામાં મામલતદાર કચેરી કે પછી કોઇપણ કેમ્પમાં અરજદારોને કોઇપણ પ્રકારની પહોંચ, અરજી નંબર કે પછી ફોર્મ ભર્યા અંગેના પુરાવા આપવામાં આવતા નહોવાની અરજદારોની ફરિયાદ છે. આ સ્થિતિમાં અરજદારો મુંઝવણમાં છેકે અરજી તેની સાચી જગ્યાએ પહોંચી હશે કે કેમ ?, ગેરવલ્લે તો નહીં થઇ જાય ને?, અરજીનું ફોલોઅપ લેવું હોય તો કયા આધારે લેવું ? તે બાબતે અરજદારો ચિંતામાં છે. અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનની હેલ્થ કમિટીના ડેપ્યુટી ચેરમેન પ્રકાશ ગુર્જરના જણાવ્યા મુજબ લોકોને ફોર્મ ભરવામાં સરળતા રહે તે માટે બાપુનગર ખાતે ગાયત્રી મંદિરની સામે નગરસેવક કાર્યાલય ખાતે તેઓએ કોરોના અરજી સ્વીકાર કેન્દ્ર ખોલ્યું છે. જ્યાં અરજદારોના અરજીફોર્મ ભરી આપવાની કામગીરી કરાય છે અને ત્યાં જ અરજીઓ સ્વીકારીને કલેક્ટર કચેરીએ પહોંચાડાય છે. મામલતદાર કચેરીમાં ધક્કા ખાવા ન પડે અને અરજદારને એક જ ધક્કે ફોર્મ ભરાઇ જાય તે માટેની આ મફત સહાય કરાઇ રહી છે. અત્યાર સુધીમાં આ પ્રકારે ૫૦૧ ફોર્મ ભરીને કલેક્ટરને આપી દેવાયા છે. (તસ્વીર પ્રતિકાત્મક છે)

