પાટીદાર અનામત આંદોલન મુદ્દે ભાજપના તમામ પાટીદાર સાંસદો ગાંધીનગ પહોંચ્યા છે. એક સાથે ભાજપના પાટીદાર સાંસદો CMને રજૂઆત કરવા પહોંચ્યા છે. આ તમામ સાંસદો દિલ્હીથી શિયાળુ સત્રમાંથી સીધા ગાંધીનગર પહોંચ્યાં છે. જેમાં રમેશ ધડુક, મોહન કુંડારિયા, શારદાબેન પટેલ પહોંચ્યા એચ.એસ પટેલ, મિતેષ પટેલ, નારણ કાછડીયાનો સમાવેશ થાય છે. પાટીદારો સામેના કુલ 140થી વધુ કેસ પાછા ખેંચાવાની જાહેરાત થઈ શકે છે.

ભાજપના તમામ પાટીદાર સાંસદોએ સમાજનું મુખ્ય રજૂઆતને સીએમ સુધી પહોંચાડવાનો નિર્ધાર કર્યો છે.સરકાર તાત્કાલિક અનામત અંદોલન સમયના કેસો પાછા ખેંચે તેવી રજૂઆત કરવા ભાજપના તમામ પાટીદાર સાંસદો દિલ્હીથી સીધા જ ગાંધીનગર પહોંચ્યાં હતા. એકસાથે CMને રજૂઆત કરી બાકી રહેલા 140 કેસો પાછા ખેચવા તેમજ અનામત વખતે જીવ ગુમાવેલા પાટીદાર નેતાઓના પરિવારમાંથી કોઈને સરકારી નોકરી આપવા રજૂઆત કરવામાં આવી છે.સાંસદ મોહન કુંડારિયાએ કહ્યું હતું કે અનામત આંદોલન વખતે પાટીદાર સમાજની સાથે અન્ય સમાજની લાગણી પણ દુભાણી હોય તો તેમના પણ કેસ પરત ખેંચવાની રજૂઆત કરી છે.

સીએમ ભૂપેન્દ્ર પટેલે આમારી રજૂઆતનો હકારાત્મક જવાબ આપ્યો છે. થોડા સમયમાં સરકાર નિર્ણય લેશે તેવુ આશ્વાસન આપ્યું છે.નાના મોટા બધા જ કેસ પરત લેવા એક જુથ થઈ પહેલી વાર સીએમ ભૂપેન્દ્ર પટેલને રજૂઆત કરી છે ત્યારે સરકાર તરફથી પણ સારો જવાબ મળ્યો છે તેવી વાત સાંસદોએ કરી હતી. રમેશ ધડૂકે કહ્યું છે કે સીએમ ભૂપેન્દ્ર પટેલે કહ્યું છે કે વહેલામાં વહેલી તકે તમામ કેસો પરત ખેંચશે.
આ પહેલા ખોડલધામના ચેરમેન નરેશ પટેલ, PAAS નેતા અને અન્ય પાટીદારોએ ગાંધીનગર મુખ્યમંત્રી આવાસ પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે મુલાકાત કરી હતી. જેમાં આંદોલનના સમયના બાકી રહેલા પ્રશ્નોની તથા પાટીદાર સમાજના સામે કરાયેલ કેસો ફરી પાછા લેવા મામલે ચર્ચા કરવામાં આવી હતી.

