સૌરવ ગાંગુલીએ ભારતીય ટીમના મુખ્ય કોચ રાહુલ દ્રવિડને લઈને ચોંકાવનારો ખુલાસો કર્યો છે. ગાંગુલીએ કહ્યું કે મારા અને સેક્રેટરી જય શાહના મગજમાં દ્રવિડનું નામ ચાલી રહ્યું હતું. અમે તેની સાથે આ વિશે વાત કરી. પરંતુ લાંબા સમયથી ઘરથી દૂર હોવાને કારણે તેણે આ જવાબદારી સંભાળવાનો ઇનકાર કર્યો હતો. અમે તેમ છતાં પ્રયાસ કરતા રહ્યા અને બાદમાં તેણે પોતાનો વિચાર બદલી નાખ્યો.
આમ તે મુખ્ય કોચ તરીકે આવ્યા હતા. તેમણે કહ્યું કે દ્રવિડ પહેલા તો ભારતીય ટીમનો કોચ બનવા માટે તૈયાર ન હતો. ખૂબ વિચારણા કર્યા પછી તે આ જવાબદારી લેવા સંમત થયા. દ્રવિડને 2 વર્ષ માટે ટીમ ઈન્ડિયાનો મુખ્ય કોચ બનાવવામાં આવ્યા છે. ન્યૂઝીલેન્ડ સામે તાજેતરમાં સમાપ્ત થયેલી ટી20 શ્રેણી તેની કોચ તરીકેની પ્રથમ શ્રેણી હતી. ભારતે આ શ્રેણી 3-0થી જીતી હતી. ગાંગુલીએ કહ્યું, “આઈપીએલ દરમિયાન જ ભારતીય કોચને 1 મહિનો ઘરે વિતાવવાનો મોકો મળે છે. મુખ્ય કોચ તરીકે રાહુલ મારા મગજમાં હતો અને જય શાહની પસંદ હતી. પરંતુ લાંબા સમય સુધી ઘરથી દૂર રહેવાનું વિચારીને તે આ જવાબદારી નિભાવવા તૈયાર ન હતા. કારણ કે ભારતીય ટીમ સાથે તેને 8 થી 9 મહિના ઘરની બહાર રહેવું પડ્યું હતું. તેને બે બાળકો પણ છે. એક સમયે અમે પણ હાર માની લીધી હતી. તેમની નેશનલ ક્રિકેટ એકેડમીના વડા તરીકે નિમણૂક કરવામાં આવી હતી. અમે તમામ ઈન્ટરવ્યુ કર્યા હતા, દ્રવિડનો પણ ઈન્ટરવ્યુ લેવામાં આવ્યો હતો. તેને NCAના ડાયરેક્ટર બનાવવામાં આવ્યા હતા.

પરંતુ એનસીએમાં જવાબદારી નિભાવ્યા પછી પણ અમે તેમની સાથે સતત વાત કરતા રહ્યા. અંતે તે તેના માટે સંમત થયો અને મને ખબર નથી કે તેણે પોતાનો નિર્ણય કેમ બદલ્યો. પરંતુ તેઓ સંમત થયા અને મને લાગે છે કે કોચિંગના સંદર્ભમાં, બીસીસીઆઈ રવિ શાસ્ત્રીના ગયા પછી વધુ સારું કરી શક્યું. વર્ષ 2015માં તે BCCIની કોચિંગ સિસ્ટમમાં જોડાયા હતા. તેમણે 4 વર્ષ સુધી ઈન્ડિયા-એ અને અંડર-19 ટીમના મુખ્ય કોચ તરીકે સેવા આપી હતી. તેમના નેતૃત્વ હેઠળ, ભારત-Aના ઘણા ખેલાડીઓએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં દમદાર પરફોર્મન્સ કર્યું હતું. જુનિયર ટીમે પણ શાનદાર પ્રદર્શન કર્યું અને વર્ષ 2018માં અંડર-19 વર્લ્ડ કપ જીત્યો. વર્ષ 2019 માં, દ્રવિડે નેશનલ ક્રિકેટ એકેડમી (NCA) ના વડા તરીકે કાર્યભાર સંભાળ્યો.

