ઓમિક્રોનના આક્રમણની દહેશત વચ્ચે રાજકોટમાં વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. સિવિલ હોસ્પિટલમાં 42 બેડ સાથેનો એક અલગ વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે. સંભવિત ઓમિક્રોન વાયરસ અને સંભવિત કોરોનાની ત્રીજી લહેર પહેલા જ તંત્રએ જરૂરિયાતની વસ્તુઓનો પણ સ્ટોક કરી લીધો છે.
અમારા ફેસબુક પેજને લાઈક કરવા માટે અહીં ક્લિક કરો
કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનની ગુજરાતમાં જામનગરથી શરૂઆત થઈ છે. ત્યારે આ વાયરસ રાજકોટમાં પણ ગમે ત્યારે આવે તેવી સંભાવનાને જોતા સિવિલ હોસ્પિટલ તેમજ વહીવટી તંત્ર દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ કરી લેવાઈ છે. આ માટે રાજકોટમાં આવેલી સિવિલ હોસ્પિટલમાં કોરોના બિલ્ડીંગના બીજા માળ ઉપર ઓમિક્રોનના દર્દીઓ માટે 42 બેડની અલાયદી વ્યવસ્થા કરાઈ છે.

આ અંગે સિવિલ હોસ્પિટલના સુપ્રિ. ડૉ. આર.એસ. ત્રિવેદીએ જણાવ્યું છે કે, રાજકોટ સિવિલ હોસ્પિટલમાં આવેલી કોરોના બિલ્ડીંગમાં બીજા માળે ઓમિક્રોનના દર્દીઓ માટે 42 બેડની વ્યવસ્થા કરાઈ છે. આ તમામ બેડ સાથે વેન્ટીલેટર પણ તૈયાર રાખવામાં આવ્યું છે. તેમજ બંને વોર્ડને સેનિટાઈઝ કરી ખાસ આઈસોલેટ કરવામાં આવ્યાં છે. તેમજ જરૂરિયાતની દવાઓનો સ્ટોક પણ કરી દેવાયો છે. જેથી કરીને કોઈ દર્દીને દવા માટે હડીયાપટ્ટી કરવી પડે નહીં.

જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં સમિક્ષા બેઠક પણ યોજાઈ હતી. આ ઉપરાંત કોવિડ બિલ્ડીંગમાં ફરજ બજાવતા તમામ તબીબો અને સ્ટાફ માટે પીપીઈ કીટ, સેનીટાઈઝર સહિતની જરૂરિયાતની વસ્તુઓનો પણણ હોસ્પિટલમાં સ્ટોક કરી લેવાયો છે. એકંદરે ઓમિક્રોનના આક્રમણ અને સંભવિત ત્રીજી લહેરને ધ્યાનમાં રાખીને તમામ પ્રકારની તૈયારીઓ પૂર્ણ કરી લેવાઈ છે.

