અમદાવાદ, મંગળવાર
અમરાઈવાડી વિસ્તારમાં એક જ દિવસમાં બે લોહિયાળ ખેલ ખેલાયો. જો ઘટનાની વાત કરીએ તો બપોરના સમયે અમરાઈવાડી જોગેશ્વરી રોડ પાસે અર્જુન મુદલિયા નામના યુવક પર સત્યા ગેંગના આરોપીઓએ ઉપરા છાપરી લાકડીઓના ઘા મારી લોહીલુહાણ કરી દીધો. ઇજાગ્રસ્ત અર્જુન પર હુમલો કર્યાનો લાઈવ વીડિયો સામે આવ્યો છે. જેમાં આરોપી સત્યા ઉર્ફે સતીશ ઉપાધ્યાય મનોજ ઉપાધ્યાય, નાયડુ આકાશ, ગોલું અને ડીમ્પી નામના આરોપી ભેગા મળી લાકડીના ફટકા મારી અર્જુન પર જીવલેણ હુમલો કર્યો. ગેંગ વચ્ચે ચાલતી અંગત અદાવતમાં હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે.
ગેંગવોરની બનેલી ઘટના બાદ રાત્રે 9 વાગ્યે હાટકેશ્વર સર્કલ પાસે કિરણ સોલંકી નામના યુવક પર કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરે ચપ્પા ના ઘા ઝીકી મોતને ઘાટ ઉતારી દીધો. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. પોલીસે તપાસ કરતા હત્યા કરવા પાછળનું કારણ મૃતક કિરણ ગેસ સિલિન્ડર એજન્સીમાં નોકરી કરે છે અને કિરણના પાડોશમાં રહેતો સગીર ગેસ સિલિન્ડર ફ્રીમાં માંગવા આવ્યો હતો જોકે, મૃતક કિરણે ગેસ સિલિન્ડર ફ્રીમાં નહિ મળે જેના પૈસા માંગ્યા હોવાથી હત્યાનો પ્લાન બનાવ્યો. જેમાં કાયદાના સંઘર્ષમાં આવેલ સગીરે કિરણને હાટકેશ્વર સર્કલ બોલાવી છરી વડે હત્યા કરી ફરાર થઈ ગયો. પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે બીજીબાજુ અમરાઈવાડી પોલીસે આરોપી ઝડપી લીધો ન હોવાથી પરિવારજનો લાશ સ્વીકારવા ઇનકાર કરી રહ્યા છે. મારામારીના બનાવમાં આરોપી ટોળકી અને ઇજાગ્રસ્ત યુવક ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. ત્યારે અમરાઈવાડી વિસ્તારમાં ફરી એક વખત ગુનેગારો બેખોફ બન્યા છે.જેને લઈ પોલીસ કાર્યવાહી કરવામાં પાંગળી પુરવાર થઈ હોય તેમ લાગી રહ્યું છે.

