ગાંધીનગર,સોમવાર
ખોડલધામના સુપ્રીમો અને લેઉવા પાટીદારના અગ્રણી નરેશ પટેલે રાજનીતિમાં આવવાના સંકેત આપ્યા છે. વિધાનસભાની ચૂંટણી પહેલાં તેઓ સક્રિય રાજકારણમાં જાેડાઈ શકે છે. રાજ્યમાં જ્યારે જ્યારે પણ મોટી ચૂંટણી આવે છે ત્યારે રાજકારણ પાટીદાર સમાજની આસપાસ ફરતુ જાેવા મળે છેે અને તેમાં પાટીદાર સમાજના સાથ, સહકાર વિના કોઈ પણ પાર્ટી સત્તા બનાવી શકે તેમ નથી. અગાઉ ભાજપ પ્રદેશ પ્રમુખ પાટિલ અને ત્યાર બાદ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકી પણ નરેશ પટેલની મુલાકાત લઈ ચૂક્યા છે ત્યારે હવે આગામી દિવસોમાં નરેશ પટેલ સક્રિય રાજકારણમાં જાેડાઈ શકે છે. તેમણે કહ્યું કે, સમાજ કહેશે તો રાજકારણમાં આવ્યા વિના કોઈ વિકલ્પ નથી. રાજકારણમાં જવું કે ન જવું એ અમારો સમાજ નક્કી કરશે, સમય નક્કી કરશે કે આગળ શું થશે.
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી આડે માંડ એક વર્ષનો સમય બાકી રહ્યો છે ત્યારે ફરીથી પાટીદાર પાવર ચાલી શકે છે. ખોડલધામના નરેશ પટેલ અગાઉ પાટીદાર સમાજને રાજકારણમાં અન્યાય થતો હોવાની વાત કરી ચૂક્યા છે. સરપંચથી સંસદસભ્ય અને ક્લાર્કથી કલેક્ટર સુધી પાટીદાર હોવો જાેઈએ તેવા નિવેદન પણ આપી ચૂક્યા છે. આ સિવાય રાજ્યનો મુખ્યમંત્રી પણ પાટીદાર હોવો જાેઈએ તેવું નિવેદન આપ્યાના ત્રણ મહિના પછી ગુજરાતમા રૂપાણી સરકારનું પતન થયું હતું અને પાટીદાર મુખ્યમંત્રીની વરણી કરાઈ હતી. પાટીદાર સમાજને નારાજ કરવો એ ભાજપને પોસાય તેમ નથી ત્યારે હવે કોંગ્રેસ પણ પાટીદાર સમાજ તરફ નજર દોડાવી રહ્યો છે. કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ પણ તાજેતરમાં નરેશ પટેલ સાથે મુલાકાત કરી હતી અને કોંગ્રેસમાં જાેડાવવા માટે આમંત્રણ આપ્યું હતું. આ ઘટનાના બે દિવસ બાદ નરેશ પટેલે કહ્યું હતું કે, રાજકારણમાં જવું કે ન જવું એ અમારો સમાજ નક્કી કરશે, સમાજ કહેશે તો રાજકારણમાં આવ્યા સિવાય કોઈ વિકલ્પ નથી. નરેશ પટેલ લેઉવા પાટીદાર સમાજના અગ્રણી છે અને તેઓ પાટીદાર સમાજમાં મોખરાનું સ્થાન ધરાવે છે ત્યારે તેઓ આગામી દિવસોમાં રાજકારણમાં સક્રિય થાય તેવા સંકેત મળી રહ્યા છે. આ અંગે કોંગ્રેસના ધારાસભ્ય લલિત કગથરાએ કહ્યું કે, નરેશ પટેલ રાજનીતિમાં આવે એ સારી બાબત છે, કોઈપણ પક્ષમાં જાેડાય પણ કોંગ્રેસમાં જાેડાય તો અમારા માટે આનાથી રૂડું બીજું કોઈ હોઈ શકે નહી. નરેશ પટેલ લેઉવા તેમજ કડવા પાટીદાર સમાજમાં લોકપ્રિય નેતા છે અને આ ઉપરાંત અન્ય સમાજાેમાં પણ તેમની લોકપ્રિયતા છે અને દરેક સમાજને સાથે લઈને ચાલવાવાળા છે. તેઓ રાજકારણમાં આવે તો આનંદ થશે તેવું પણ તેમણે કહ્યું હતું.

