જામનગર, શુક્રવાર
જામનગરમાં સાઉથ આફ્રિકાના ઝિમ્બાબ્વેથી ગત તા. 28 નવેમ્બરના રોજ જામનગર પરત આવેલા આધેડનેને તા.29 નવેમ્બરના રોજ શરદી, ઉધરસના લક્ષણો હોવાથી પ્રાઇવેટ લેબોરેટરીમાં કોરોના અંગેનો રિપોર્ટ કરાવતા તેઓ પોઝિટિવ હોવાનું ખૂલ્યું હતુ. જામનગરની જી.જી. હોસ્પિટલમાં પણ તેમનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. આથી, એમને તરત હોસ્પિટલમાં જ ક્વોરન્ટાઈન કરી દેવામાં આવ્યા હતા.
આ દર્દી આફ્રિકન દેશમાંથી આવેલ હોવાથી જામનગર મહાનગરપાલિકા દ્વારા દર્દીના સંપર્કમાં આવેલા તમામને યુદ્ધના ધોરણે ટ્રેસ કરવામાં આવ્યા હતા. હાલ દર્દી ઓમિક્રોન વેરીયન્ટથી સંક્રમિત છે કે નહીં ? તે માટે દર્દીના સેમ્પલ પુણે નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ વાયરોલોજી સેન્ટરમાં મોકલવામાં આવ્યા છે. આ અંગે ચારથી પાંચ દિવસમાં સ્પષ્ટ રિપોર્ટ આવવાની શક્યતા છે તેમ કોરોના નોડલ ડો.એસ.એસ.ચેટરજી દ્વારા જણાવવામાં આવ્યું છે.

