ઓટીટી પ્લેટફોર્મ પર સફળ રહેલી વેબ સીરીઝ મિર્ઝાપુરમાં લલીતનું પાત્ર પ્લે કરનાર કલાકારનું મૃત્યુ થયું છે. આ સમાચાર એ જ સીરીઝના મુખ્ય અભિનેતા દિવ્યેંદુ શર્માએ શેર કર્યા છે. દિવ્યેંદુએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર એનો એક ફોટો પોસ્ટ કરીને આ સમાચાર આપ્યા છે. લલીતના રોલમાં કોમેડી કરનાર અને સૌનું દિલ જીતનાર કલાકાર બ્રહ્માના આવા વાવડથી આખી ટીમને આંચકો લાગ્યો છે.
પોસ્ટ પરથી થોડા સમય માટે તો કોઈ માનવા તૈયાર ન હતું કે, તેઓ હવે આ દુનિયામાં રહ્યા નથી. જ્યારે પણ આ સીરીઝની વાત થશે ત્યારે આ કલાકારની ખોટ અવશ્ય વર્તાશે. બ્રહ્મા એ ઘણી સિરિયલ અને ફિલ્મોમાં કામ કર્યું હતું. પણ એક સારી ઓળખ એને આ વેબ સીરીઝથી મળી છે. સીરીઝ જોતી વખતે ભાગ્યે જ કોઈ એવું હશે જેણે આ કલાકારને નોટીસ નહીં કર્યો હોય. લલીતના પાત્રને બ્રહ્મા એ પણ એની ફિલ્મી કેરિયરનું સૌથી બેસ્ટ અને હિટ પાત્ર કહ્યું હતું. એક ઇન્ટરવ્યૂમાં એવી ચોખવટ પણ કરી હતી કે, આ એની લાઇફનો સૌથી બેસ્ટ રોલ રહ્યો છે.

આમ પણ એની એક્ટિંગ પણ સારી હતી. સીરીઝમાં એનું એક એવું અસરદાર પાત્ર રહ્યું કે, સોશિયલ મીડિયા પર એના મિમ્સ બન્યા હતા. મૂળ ભોપાલના વતની બ્રહ્માને નાનપણથી જ એક્ટિંગનો શોખ હતો. વર્ષ 2013માં આવેલી ફિલ્મ ચોર ચોર સુપર ચોર ફિલ્મથી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. એ પછી અક્ષય કુમારની સુપરહિટ ફિલ્મ કેસરીમાં રોલ કર્યો હતો.
29 નવેમ્બરના રોજ છાતીમાં દુખાવો થતાં હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. ચેકઅપ કરાવીને તેઓ ઘરે ચાલ્યા ગયા હતા. પોલીસે જ્યારે એમના મુંબઈમાં આવેલા વર્સોવાના ઘરમાં તપાસ કરી ત્યારે માત્ર એનો મૃતદેહ પડયો હતો. જે પોલીસે પોસ્ટ મોર્ટમ માટે મોકલી દીધો. કપૂર હોસ્પિટલમાં એમનું પોસ્ટ મોર્ટમ થયું હતું. એમની ઉંમર 32 વર્ષ હતી. હાલ તો એમને હાર્ટ એટેક આવ્યો હોવાનું મનાય છે. 3 દિવસ સુધી એમનો મૃતદેહ એમના ઘરમાં પડ્યો રહ્યો હતો. જે એક ચોંકાવનારી વાત છે. 3 દિવસ બાદ પોલીસને આ વાતની જાણ થતાં એમના ઘરની તપાસ કરાઈ હતી. ભોપાલથી મુંબઈ આવેલા બ્રહ્મા ને જ્યારે પણ આર્થિક કટોકટી પડતી ત્યારે મોટા ભાઈ અને પિતા મદદ કરતા હતા.

