ગીર સોમનાથ,ગુરુવાર
ગુજરાત પર ફરી એકવાર વાવાઝોડાનું સંકટ તોળાઈ રહ્યું છે. હાલ જે રીતે ગુજરાતનું વાતાવરણ બદલાયુ છે તે જોતા લોકોને તૌકતે વાવાઝોડું યાદ આવી ગયું છે. આવામાં ગીર સોમનાથના નવા બંદરમાં 15 જેટલી બોટ ડૂબી હોવાના સમાચાર સામે આવ્યા છે. એ ઉપરાંત 15 જેટલા માછીમાર પણ લાપતા હોવાનું જાણવા મળ્યું છે. ગીર-સોમનાથ જિલ્લા કલેક્ટરે ઘટનાની પુષ્ટિ કરીને જણાવ્યું હતું કે હાલમાં 4 માછીમારને બચાવી લેવાયા છે.ગીર સોમનાથમાં રાત્રે વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાતા બોટ ડૂબ્યાની આશંકા છે. ઉલ્લેખનીય છે કે, હવામાન વિભાગની ચેતવણી છતાં માછીમારો સમુદ્રમાં માછીમારી કરવા ગયા હતા. માછીમારી એ સમયે ભારે પવન ફુંકાતા બોટ ડૂબી હોવાની શક્યતા છે. જેના કારણે માછીમારો ફસાયા હોય શકે છે.
ગુજરાત સહિત આખા ભારત પર કુદરતનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. રાજ્યમાં ડિસેમ્બરનાં મહિનામાં વરસાદ પડી રહ્યો છે ત્યારે દિવમાં મોટી દુર્ઘટના થઈ હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. દરિયામાં ભારે પવનનાં કારણે આશરે 15 જેટલા માછીમારો ગુમ થવા હોવાની માહિતી મળી રહી છે. રાજ્યમાં ભારે પવન અને વરસાદની આગાહી કરી હતી. એની સાથે માછીમારોને દરિયો નહીં ખેડવા માટે સૂચનાઓ પણ આપી હતી, એમ છતાંય તેઓ દરિયામાં ગયા હતા. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 129 તાલુકામાં છૂટોછવાયો કમોસમી વરસાદ વરસ્યો છે. અરબી સમુદ્રમાં લો પ્રેશર સર્જાતાં છેલ્લા 3 દિવસથી રાજ્યના વાતાવરણમાં પલટો આવ્યો છે. સૌથી વધુ સુરતના ઉમરપાડામાં 6 ઈંચ કમોસમી વરસાદ પડ્યો છે, તો છેલ્લા 24 કલાકમાં રાજ્યના 38 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. દીવમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદને કારણે એક ખલાસીનું દરિયામાં મોત થયું હતું, તો અમરેલી જિલ્લાના રાજુલા, જાફરાબાદ, પીપાવાવ કોસ્ટલ બેલ્ટ પર માવઠું પડ્યું. આ તરફ રાજકોટ જિલ્લાના ગોંડલમાં પણ વાતાવરણમાં પલટો જોવા મળ્યો.

