ગાંધીનગર, બુધવાર
રાજ્યમાં તા.1 અને 2 ડિસેમ્બરના રોજ જિલ્લામાં કમોસમી વરસાદની શક્યતા છે. આ આગાહી વચ્ચે જિલ્લાના ખેડૂતોને ખેતી પાકોમાં થનાર સંભવીત નુકસાનથી બચવા જરૂરી તકેદારી રાખવા જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા અપીલ કરવામાં આવી છે. આ સંભવીત કમોસમી વરસાદના પગલે જીરા, ધાણાના પાકમાં ઉગાવો અને વૃદ્ધિની સ્થિતીમાં બીજનુ ધોવાણ, ઉભા પાકમાં ફુગ જન્ય સુકારો, રોગના ઉદ્રવની સંભાવના, છોડનુ જમીન સાથે ચોંટીને સુકાઈ જવુ વગેરે જેવા નુકસાન થઈ શકે છે. રાયડાના પાકમાં દાંડલી અવસ્થામા પવન અને વરસાદના કારણે પાક ઢળી પડવાની અને નમી જવાની શક્યતા રહે છે.
દીવેલાના પાકમાં ડોડવામાં દાણા ભરાવા અને લુમની અવસ્થામાં ગળ ખરી પડવાની શક્યતા, ગળ કોરી ખાનારી ઇયળનો ઉપદ્રવ વધવાની શક્યતા, પવન અને વરસાદના કારણે દિવેલાનો પાક ઢળી પડવાની અને નમી જવાની શક્યતા રહે છે. જેથી જીરા, ધાણા, ઘંઉ, રાયડો, દિવેલા વગેરે પાકમાં સંભવિત નુકસાન નીવારવા માટે વરસાદી સમય દરમિયાન પીયત આપવાનું મુલતવી રાખવું તેમજ વરસાદના પાણીના નિકાલની વ્યવસ્થા રાખવી. પાકની કાપણી કરેલ હોય તો વરસાદથી પાક ભીંજાય નહીં તે જણસને પાકના ગોડાઉન અથવા સુરક્ષિત જગ્યાએ રાખવી વગેરે તકેદારી રાખવા ખેતીવાડી અધિકારીની યાદીમાં જણાવાયું છે.

