સાઉથ આફ્રિકા,સોમવાર
દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપ્રમુખ સિરિલ રામાફોસાએ રવિવારે કહ્યુ છે કે કોવિડ-19ના નવા વેરિએન્ટ ઓમિક્રોનના ખતરા છતાં દેશમાં સૌથી નીચલા એટલે કે પ્રથમ સ્તરનું લોકડાઉન જ લાગુ રહેશે. રામફોસાએ દક્ષિણ આફ્રિકા અને તેના પાડોશીઓ પર પ્રવાસને લગતા પ્રતિબંધ લગાવનારા 20થી વધુ દેશોને આગ્રહ કર્યો છે કે ઈકોનોમીઓને વધુ નુકસાનથી બચાવવા માટે પ્રતિબંધોને તાત્કાલિક સમાપ્ત કરવામાં આવે, કારણ કે દક્ષિણ આફ્રિકાના દેશ પહેલેથી જ વૈશ્વિક મહામારીથી અસરગ્રસ્ત છે.
રામાફોસાએ કહ્યુ છે કે આ સ્તર પર વધુ પ્રતિબંધ નહીં લગાવવાનો નિર્ણય લેતા, અમે આ તથ્ય પર વિચાર કર્યો કે જ્યારે અમે સંક્રમણની ગત લહેરોનો સામનો કર્યો, ત્યારે વેક્સિન વ્યાપકપણે ઉપલબ્ધ ન હતી અને ઘણાં ઓછા લોકોને વેક્સિન લાગી હતી. પરંતુ હવે તેવું નથી. 12 વર્ષની વય સુધીના તમામ લોકો માટે વેક્સિન ઉપલબ્ધ છે તથા તે પણ મફતમાં. દેશમાં આના માટે હજારો કેન્દ્ર બનાવવામાં આવ્યા છે.
રામાફોસાએ કહ્યુછે કે અમને ખબર છે કે કોરોના વાઈરસનો પ્રકોપ હજી લાંબા સમય સુધી રહેશે. માટે આપણે ઈકોનોમીની અડચણોને મર્યાદીત કરતા અને નિરંતરતા સુનિશ્ચિત કરતા વૈશ્વિક મહામારીનો સામનો કરવાની પદ્ધતિ શોધવી જોઈએ. પ્રવાસ પ્રતિબંધનીવાત કરતા રામાફોસાએ તાત્કાલિક તેને હટાવવાનો આગ્રહ કર્યો છે. તેમણે કહ્યુ છે કે પ્રતિબંધ એ પ્રતિબદ્ધતાથી બિલકુલ વિપરીત છે, જે તેમનામાંથી ઘણાં દેશોએ ગત મહીને રોમમાં જી-20 દેશોની બેઠકમાં વ્યક્ત કરી હતી.
સિરિલ રામાફોસાએ કહ્યુછે કે આ દેશોએ તે બેઠકમાં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન, આંતરરાષ્ટ્રીય નાગરિક ઉડ્ડયન સંગઠન, આંતરરાષ્ટ્રીય સમુદ્રી સંગઠન અને આર્થિક સહયોગ અને વિકાસ સંગઠન જેવા પ્રાસંગિક આંતરરાષ્ટ્રીય સંગઠનો હેઠળ, સુરક્ષિત અને વ્યવસ્થિત રીતે આંતરરાષ્ટ્રીય યાત્રાને ફરીથી શરૂ કરવાનો સંકલ્પ લીધો હતો. તેમણે કહ્યુ છે કે આ પ્રતિબંધોને યોગ્ય ઠેરવી શકાય નહીં અને આ આપણા દેશ અને આપણા દક્ષિણ આફ્રિકી સહયોગી દેશોની સાથે અયોગ્ય રીતે ભેદભાવ છે. રામાફોસાએ કહ્યુ છે કે પ્રવાસ પર રોકનો વિકલ્પ વિજ્ઞાનેઆપ્યો નથી અને ન તે આ પ્રકારના ચેપને ફેલાતો રોકવામાં અસરકારક હશે. તેનાથી માત્ર દેશની ઈકોનોમીને વધુ નુકસાન થશે. વૈશ્વિક મહામારીનો સામનો કરવો અને તેમાંથી ઉભરવાની ક્ષમતા વધુ કમજોર થશે. દક્ષિણ આફ્રિકામાં ગત 24 કલાકોમાં કોરોના વાઈરસના 3220 મામલા સામે આવ્યા, જ્યારે એક સપ્તાહ પહેલા દૈનિક લગભગ 100 મામલા સામે આવી રહ્યા હતા. પરંતુ વૈજ્ઞાનિકોનું કહેવું છે કે ઓમિક્રોનને લઈને ગભરાવાની કોઈ જરૂરત નથી અને તેના સંદર્ભે હજી સુધી પુરતી જાણકારી મળી નથી.
ઓમીક્રોન વેરિએન્ટથી ચેપનો પહેલો મામલો દક્ષિણ આફ્રિકામાં મળ્યો હતો. ઓમિક્રોન ડબ્લ્યૂએચઓ દ્વારા ચિંતાજનક સ્વરૂપના વેરિએન્ટ તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યો છે. જો કે તેણે એમ પણ કહ્યુ છે કે હજી એ સ્પષ્ટ નથી કે શું કોવિડ-19નો નવો વેરિએટ ઓમિક્રોન ડેલ્ટા વેરિએન્ટ સહીતના અન્ય સ્વરૂપોની સરખામણીએ વધુ ચેપકારક છે અને શું તે અપેક્ષાકૃત વધારે ગંભીર બીમારીનું કારણ છે.

