દહેગામ નરોડા રોડ પર આજે સવારે એક સાવ વિચિત્ર અકસ્માત બની ગયો હતો. જીઈબીની લાઈન ખસેડવાની કામગીરી કરી રહેલી ક્રેઈનમાં સાંકળથી બાંધવામાં આવેલો થાંભલો છૂટો પડી ગયો હતો અને તે છૂટેલો થાંભલો સીધો જ ગાડી ખસેડતા વેપારી પર પડતા તેની ગાડીનો બુકળો બોલાવી દીધો હતો. સદભાગ્યે ગાડી ખસેડી રહેલા વેપારીનો આબાદ બચાવ થયો હતો.
દહેગામ નરોડા રોડ પર આવેલી શ્રીનાથ સોસાયટીની બહાર રોડ પરના શોપિંગ સેન્ટર આગળ જીઇબીની લાઈન ખસેડવાનું કામ ચાલી રહ્યું છે. હાઈવે પહોળો થતાં વીજતંત્ર દ્વારા આ કામગીરી કરવામાં આવી રહી હતી. જેમાં એક થાંભલાને સાંકળ સાથે બાંધીને ક્રેઈનથી ખસેડવામાં આવી રહ્યો હતો. એ સમયે આજ શોપિંગ સેન્ટરમાં દુકાન ધરાવતા ગાંધીનગર તાલુકાના રાણપુર ગામના વતની હિતેશભાઈ રામાભાઈ પટેલની ગાડી ત્યાં બહાર પડી હતી. જીઈબીના કામમાં અડચણ રૂપ ન થાય અને પોતાની ગાડીને પણ કોઈ નુકસાન ન થાય એવા હેતુથી હિતેશભાઈ પોતાની પાર્ક કરાયેલી ગાડીને અન્યત્ર ખસેડવા ગયા હતા.
હિતેશભાઈ પોતાની જીજે – 1 – કેજી – 2759 કાર ખસેડી રહ્યા હતા એ જ સમયે ચાલકે સાંકળથી બાંધેલા થાંભલાને અન્યત્ર લઈ જવા માટે ઊંચો કર્યો હતો. પરંતુ બરાબર ત્યારે જ સાંકળો બાંધેલો થાંભલો સાંકળમાંથી છૂટો થઈ ગયો અને હિતેશભાઈની ગાડી ઉપર જ પડ્યો હતો. જો થોડો પણ વધુ સમય ગાડીમાં હોત તો હિતેશભાઈની ઉપર જ એ થાંભલો પડવાની સંભાવના હતી એવું નજરે જોનારા કહી રહ્યા છે. જોકે સદભાગ્યે એવું ન થયું અને નસીબે પણ હિતેશભાઈને સાથ આપતા તેમના પરથી ઘાત ટળી હતી અલબત્ત એમની ગાડી પર આ સિમેન્ટ નો થાંભલો પડતા ગાડીનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો.

