રાજ્યકક્ષા મંત્રી બ્રિજેશ મેરજાએ રવિવારે વિકાસના કાર્યનું ખાતમુહૂર્ત કરવા માટે રવિવારે મોરબી જિલ્લાની મુલાકાત લીધી હતી. જેમાં તેમણે મોરબી શહેરના જુદા જુદા વિસ્તારના રસ્તાઓને વ્યવસ્થિત કરવા માટે રસ્તાનું ખાતમૂહુર્ત કર્યું હતું. વર્ષોથી રસ્તાની સમસ્યાને લઈને પીડાઈ રહેલી પ્રજાને હવે મગરમચ્છની પીઠ જેવા રસ્તાથી કાયમી છૂટકારો મળશે કે નહીં એ તો સમય કહેશે. પણ ચૂંટણીના પડઘમ વાગતા જ શાસકપક્ષના નેતાઓને અચાનક જનતાની મુશ્કેલીનો અહેસાસ થઈ રહ્યો છે. જેના કારણે યુદ્ધના ધોરણે પાયાના પ્રશ્નોનો નીવેડો લાવવા માટે તેઓ દિવસ રાત દોડી રહ્યા છે. મોરબીમાં બ્રિજેશ મેરજાએ આશા પાર્ક હનુમાનજી મંદિર ચોક સર્કિટ હાઉસ સામે આશરે રૂ.45.59 લાખના રસ્તાનું મૂહુર્ત કર્યું છે.

આ સિવાય મોરબીના હરિપાર્ક મેઈનરોડ, વિદ્યુતનગરની બાજુમાં, નવલખી રોડ કેદારિયા હનુમાનથી ગાયત્રી આશ્રમ સુધી, વાવડી રોડ, સાધુ વાસવાણી રોડ, સુમિતનાથ સોસાયટી સહિતના નવા રસ્તાઓ માટે ખાત મૂહુર્ત કર્યું છે. જોકે, મોરબીમાંથી પ્રજા લાખો રૂપિયાનો કર ભરે છે. તેમ છતાં રસ્તા જેવી પાયાની સુવિધા માટે લાંબા સમય સુધી ફરજિયાત સહન કરવું પડે એવી સ્થિતિ રહી છે. જોકે, આટલા મોટા પ્રોજેક્ટ બાદ આખરે ક્યારે રસ્તાઓ સુવ્યવસ્થિત થશે એ તો સમય કહેશે. પણ હાલ તો નેતાઓ પ્રજાને રીઝવવા માટે પરિણામ લક્ષી કામગીરી કરી રહ્યા છે.
