T20 વર્લ્ડ કપમાં ભારતે સેમિ ફાઈનલમાં પ્રવેશવા ટીમ ન્યૂઝીલેન્ડને પરાસ્ત કરવું પડશે. સેમિફાઈનલ સુધી પહોંચવા માટે રવિવારે ન્યૂઝિલેન્ડને હરાવવું જ પડશે. પાકિસ્તાન સામેની હાર બાદ વિરાટ કોહલીની ટીમે ન્યૂઝીલેન્ડને હંફાવવા માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. ટીમ ઈન્ડિયા માટે ન્યૂઝિલેન્ડ સામેનો વિજય સરળ નથી. કારણ કે, છેલ્લા 18 વર્ષથી ભારત ન્યૂઝીલેન્ડ સામે જીતી શક્યું નથી. ઈતિહાસના આંકડા કહી રહ્યા છે કે, ICCની મેજર ટુર્નામેન્ટમાં ન્યૂઝીલેન્ડ સામે ભારત કદી જીત્યું નથી. કેપ્ટન કોહલી પાસે હવે આ ઈતિહાસને બદલવાની પૂરી તક છે.

T20વર્લ્ડ કપમાં પણ અત્યાર સુધી ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે માત્ર બે મેચ થયેલી છે. બંનેમાં ન્યૂઝીલેન્ડની ટીમ સફળ થઈ છે. ન્યૂઝીલેન્ડ જેન્ટલમેન્સ ટીમ તરીકેની ઓળખ ધરાવે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં શાનદાર દેખાવ કરતાં પોતાનું પ્રભુત્વ સાબિત કર્યું છે. સૌરવ ગાંગુલી વર્ષ 2003માં વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન હતા ત્યારે ભારતે સેન્ચ્યુરિયનમાં રમાયેલી મેચમાં ન્યૂઝિલેન્ડને સાત વિકેટથી પરાજય આપ્યો હતો. આ એક મોટી જીત હતી. ઝહીરે 42 રનમાં ચાર વિકેટ ઝડપતાં ન્યૂઝિલેન્ડ 146 રનમાં પરાસ્ત કર્યું હતું. વર્ષ 2007ની T20 વર્લ્ડ કપમાં મેચ જોહનીસબર્ગમાં રમાયેલી હતી. આ મેચમાં ભારતનો ન્યૂઝીલેન્ડ સામે 10 રનથી પરાજય થયો હતો. ન્યૂઝિલેન્ડના 190 સામે ભારત 9 વિકેટે 180 રનમાં સમેટાઈ ગયું હતું. 2016માં ભારતમાં રમાયેલી T20 વર્લ્ડ કપ મેચમાં ભારત ન્યૂઝીલેન્ડ સામે 47 રનથી હાર્યું હતુ. ન્યૂઝીલેન્ડના 126-7 સામે ભારત 79માં ખખડયું હતુ. જેમાં ધોનીના 30 અને કોહલીના 23 રન હતા. આગામી મેચમાં સૌ કોઈની નજર રોહિત શર્મા અને વિરાટ કોહલી પર છે. બીજી તરફ હાર્દિક પંડ્યાનો મુદ્દો માથાનો દુખાવો સાબિત થઈ રહ્યો છે. એવી પણ શક્યતા છે કે, આગામી આઈપીએલ ટુર્નામેન્ટમાં તે સારો દેખાવ કરી શકે છે. અથવા આરામ લઈ શકે એમ છે.