દિવાળી પહેલા મહાનગર અમદાવાદમાં આતંકી હુમલો થઈ શકે છે. એવી ચેતવણી અમદાવાદ પોલીસે આપી છે. અમદાવાદના સિનેમા, મોલ, માર્કેટ અને ભીડવાડી જગ્યા પર સાવચેતી રાખવાની જરૂર છે. તા.18 ડિસેમ્બર સુધી અમદાવાદમાં હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે. પોલીસ કમિશર અમદાવાદ સંજય શ્રીવાસ્તવે આ મામલે પોલીસ ટીમે ને એલર્ટ રહેવા ખાસ સૂચના આપી છે.
આસામના મહાનગરમાં આ પહેલા આતંકી હુમલાની ચેતવણી આપવામાં આવી હતી. પાકિસ્તાનના આતંકી સંગઠન અથવા અલકાયદા હુમલો કરે એવી ચેતવણી અપાઈ હતી. આ મામલે આસામ પોલીસે ગંભીરતા દાખવી હાઈ એલર્ટ જાહેર કર્યું હતું. અમદાવાદમાં આતંકી દહેશતને લઈ એલર્ટ જાહેર કરાયું છે. સઘન ચેકિંગનો પોલીસને આદેશ અપાયો છે. ખાસ કરીને શહેરમાં આવતા એન્ટ્રી પોઇન્ટ પર તપાસ ચાલું કરી દેવામાં આવી છે. શૉપિંગ મોલ, મલ્ટિપ્લેક્સને અલર્ટ રહેવા માટે કહ્યું છે. શહેરના તમામ નાગરિકોને પણ અલર્ટ રહેવા સૂચન કરાયું છે. ખાસ કરીને શહેરની અંદર આવેલા મોલ અને મલ્ટિપ્લેક્સમાં સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે. અમદાવાદ એરપોર્ટ આવતા દરેક પ્રવાસીઓએ સુરક્ષાના કારણોસર ફ્લાઈટના સમય કરતા ત્રણ કલાક પહેલા આવવા સૂચના આપવામાં આવી છે. મોટી સંખ્યામાં પ્રવાસીઓ દિવાળીનો સમય નજીક આવતા હવાઈ યાત્રા કરતા હોય છે. ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ચેકિંગ વ્યવસ્થિત થાય એ માટે પ્રવાસીઓને વહેલા એરપોર્ટ પહોંચવા માટેની સૂચના આપવામાં આવી છે.
દરેક પ્રવાસીઓના સામાનનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત સાયકલ તથા બેટરીથી ચાલતા વાહન વેચનારને પણ આદેશ આપ્યા છે. ખરીદનારને બીલ આપવું પડશે. ઓળખપત્ર અને યોગ્ય પુરાવા જમા કરાવવાના રહેશે. આ ઉપરાંત ખરીદનારનું સરનામુ, મોબાઈલ નંબર, ગાડી નંબર લખવાનો રહેશે. જે નિયમ 60 દિવસ સુધી અમલી રહેશે. જ્વેલર્સ શૉ રૂમ, શોપિંગ મોલ્સ, સિનેમા, પાર્કિંગ વ્યવસ્થા, રેસ્ટોરાં, બોર્ડિંગ, ધર્મશાળા, પેટ્રોલ પંપ, પાવરહાઉસ જેવી જગ્યાઓના સીસીટીવી ફુટેજ સાચવવાના રહેશે. સીસીટીવી એક્ટિવ રાખવાના રહેશે.
બીજી તરફ અમદાવાદમાં મોબાઈલ અને સીમકાર્ડ વેચાણ અંગે પણ ખાસ નિયમ જાહેર કરેલા છે. જેમાં નામ અને સરનામા સહિત અન્ય વિગત ત્રણ વર્ષ સુધી સાચવી રાખવાની રહેશે. આ ઉપરાંત ઓળખપત્ર, રહેઠાણ સહિતના દસ્તાવેજનું રજીસ્ટર મેઈનટેન કરવાનું રહેશે. આ ઉપરાંત ડેટા લોક એ કરપ્ટ ન થાય એની પણ જવાબદારી દુકાનદારની રહેશે.
અમદાવાદ શહેરમાં આવતા વાહનોનું સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. એક બાજુ તહેવારની સીઝન નજીક આવી રહી છે. એવામાં આતંકી આકાઓ સક્રિય થયા હોવાના ઈનપુટ સુરક્ષા એજન્સીઓને મળ્યા છે. આ પહેલા રાજધાની દિલ્હીમાંથી એક આતંકી ઝડપાયો ત્યારે સમગ્ર દિલ્હીમાં હાઈએલર્ટ આપવામાં આવ્યું હતુ. અમદાવાદ શહેરના એરપોર્ટ પર ખાસ સુરક્ષા વ્યવસ્થામાં વધારો કરવામાં આવ્યો છે.