ગાંધીનગર, સોમવાર
રાજ્યમાં પાટીદાર અનામત આંદોલનના 6 વર્ષ બાદ પણ પોલીસ કેસ પાછા ખેંચાયા નથી તેમજ શહીદ પરિવારોને નોકરી પણ મળી નથી. પોલીસ કેસ પાછા ખેંચવા માટે પાસ દ્વારા ત્રણ મહિના અગાઉ સરકારને અલ્ટિમેટમ અપાયું હતું. જાે કે, હજુ સુધી કોઈ પોલીસ કેસ પાછા ખેંચાયા નથી. પોલીસ કેસ પાછા ખેંચવા તેમજ અન્ય પડતર પ્રશ્નોને લઈ આજે એટલે કે સોમવારે મુખ્યમંત્રીના નિવાસસ્થાને પાટીદાર સમાજની વિવિધ સંસ્થાના અગ્રણીઓ તેમજ પાસના કન્વીનરોની બેઠક મળશે. જેમાં પોલીસ કેસ પાછા ખેંચવા સહિતની અનેક રજૂઆતો કરવામાં આવનાર છે. આ બેઠકમાં ખોડલધામના નરેશ પટેલ, ઊંઝા ઉમિયા સંસ્થાનના પ્રતિનિધિઓ પણ હાજર રહેશે.
2015માં રાજ્યમાં શરૂ થયેલા પાટીદાર અનામત આંદોલન બાદ મોટાપાયે હિંસા થઈ હતી અને આંદોલન દરમિયાન પોલીસની કાર્યવાહીમાં ૧૪ પાટીદાર યુવાનો શહીદ થયા હતા. જે તે વખતે તત્કાલિન સરકારે પાટીદાર શહીદ જવાનના પરિવારોને સરકારી નોકરી આપવાની વાત કરી હતી અને પાટીદાર સામે જે પોલીસ કેસ નોંધાયા હતા તે પરત ખેંચાશે તેવી બાંહેધરી આપી હતી. જાે કે, હજુ સુધી તમામ પોલીસ કેસ પાછા ખેંચાયા નથી અને તેના કારણે પાટીદાર સમાજના અનેક નેતાઓને આજે પણ કોર્ટમાં મુદત ભરવી પડે છે. રાજ્ય સરકારે જે તે વખતે જે બાંહેધરી આપી હતી તેનું પાલન કરાયું નથી. જે સંદર્ભે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પાસે મળવાનો સમય માગવામાં આવ્યો હતો અને આજે સોમવારે બપોર પછી મુખ્યમંત્રી નિવાસસ્થાને પાટીદાર સમાજના અગ્રણીઓની બેઠક મળશે. આ અંગે પાસના કન્વીનર દિનેશ બાંભણીયાએ કહ્યું કે, અગાઉ રાજ્ય સરકારને ત્રણ મહિના પહેલા પોલીસ કેસ પાછા ખેંચવા માટે અલ્ટિમેટમ આપ્યું હતું. સરકારે હજુ આ દિશામાં કંઈ કર્યું નથી અને તેથી મુખ્યમંત્રી પાસે મળવાનો સમય માગવામાં આવ્યો હતો. આજની બેઠકમાં પાટીદાર સમાજના અન્ય મુદ્દાઓ ઉપર પણ ચર્ચા થશે. ખાસ કરીને શહીદ થયેલા પાટીદાર જવાનના પરિવારોને હજુ સરકારી નોકરી મળી નથી તે મુદ્દો પણ રજૂ કરવામાં આવશે. આ બેઠકમાં ખોડલધામના નરેશ પટેલ અને ઊંઝા ઉમિયા ધામના પ્રતિનિધિઓ ઉપરાંત પાસના કન્વીરો અલ્પેશ કથીરિયા, દિનેશ બાભણીયા અને એસપીજીના લાલજી પટેલ પણ હાજર રહેશે. પાટીદાર સમાજની વિવિધ સંસ્થાઓ દ્વારા પણ અવારનવાર પોલીસ કેસ પાછા ખેંચવા માટે સરકારમાં રજૂઆત કરવામાં આવી છે. જાે કે, હજુ સુધી તેનું નિરાકરણ આવ્યું નથી.

