વાંકાનેર તાલુકાના વસુંધરા ગામે જૂની અદાવતને લઈને બે જૂથો વચ્ચે થયેલી અથડામણમાં એક ભરવાડ યુવકનું મોત નીપજ્યું હોવાની ઘટના સામે આવી છે. ગત રાત્રે બનેલી આ ઘટનામાં તીક્ષ્ણ હથિયાર વડે હુમલો થતાં વિરમભાઈ સામતભાઈ સરૈયાને ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેમાં તેમનું મોત થયું હતું.
પ્રાપ્ત વિગતો મુજબ, જૂની અદાવતને લઈને બંને જૂથના લોકો સામસામે આવી ગયા હતા. શરૂઆતમાં બોલાચાલી થયા બાદ મામલો ઉગ્ર બન્યો હતો અને બંને પક્ષો વચ્ચે મારામારી તથા ધીંગાણું સર્જાયું હતું. આ દરમિયાન તીક્ષ્ણ હથિયારોનો ઉપયોગ થતાં વિરમભાઈ સરૈયાને ગંભીર ઈજાઓ પહોંચી હતી. બાદમાં તેમનું મોત નીપજ્યું હતું.
આ અથડામણમાં બંને પક્ષના મળીને 4થી 5 લોકોને ઈજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જેમાં એક વ્યક્તિની હાલત ગંભીર હોવાનું જાણવા મળે છે.
ઘટનાની જાણ થતાં વાંકાનેર તાલુકા પોલીસનો કાફલો તાત્કાલિક વસુંધરા ગામે પહોંચી ગયો હતો. પરિસ્થિતિ વધુ ન વણસે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ગામમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
સમગ્ર બનાવ અંગે પોલીસે તપાસ શરૂ કરી છે અને અથડામણ પાછળના કારણો તેમજ સંડોવાયેલા શખ્સો અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

